થોડા દિવસો અગાઉ જ NCPમાંથી રાજીનામું આપનારા શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા 3 દિવસથી તેમને તાવ આવી રહ્યો હતો. ત્યારબાદ તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં આજે રિપોર્ટ પોઝિટિવ આવતા સાથી નેતાઓમાં ખળભળાટ મચ્યો છે.
શંકરસિંહ વાઘેલાને કોરોના પોઝિટિવ
શંકરસિંહ વાઘેલા હોમ ક્વોરન્ટાઈન થયા
2 દિવસ પહેલા સંબોધી હતી પત્રકાર પરિષદ
રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. ત્યારે આ કોરોનાની ઝપેટમાં કેટલાક રાજકીય નેતાઓ પણ આવી ચૂક્યા છે. આજે(શનિવાર) રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અગાઉ કોંગ્રેસના નેતા ભરતસિંહનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
હાલતો શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સમર્થકો અને તેમની સાથે મુલાકાતે આવેલા તમામ નેતાઓમાં ચિંતાનો માહોલ છે. છેલ્લા કેટલાક દિવસથી તેમની તબિયત ખરાબ રહેતી હતી. હાલ તેમને કોરોના પોઝિટિવ આવતા વસંત વગડામાં જ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમને કોઇ મોટા લક્ષણ ન હોવાથી હોમ આઇસોલેટ થવા માટેની આરોગ્ય તંત્રએ મંજુરી આપી છે. તો બીજી તરફ બે દિવસ પહેલા એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેને લઇને સમર્થકો, નેતા અને પત્રકારો ચિંતામાં મુકાયા છે.
શંકરસિંહ વાઘેલાએ થોડા દિવસ અગાઉ જ NCPમાંથી આપ્યું હતું રાજીનામું
રાજ્યસભા ચૂંટણી બાદ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ NCPના નેશનલ જનરલ સેક્રેટરી અને પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું આપી દીધુ હતું. શંકરસિંહ વાઘેલાએ ટ્વિટર દ્વારા આ વાત જણાવી હતી. ટ્વિટર પર એક પત્ર અપલોડ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. શંકરસિંહ વાઘેલએ એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રી અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું.