મહેન્દ્ર વાઘેલા આગામી દિવસોમાં ભાજપ સાથે જોડાય તેવી શક્યતા
વિધાનસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાને મોટો ઝટકો લાગી શકે છે. ગાંધીનગર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાત દરમિયાન શંકરસિંહના પુત્ર મહેન્દ્ર વાઘેલા અમિત શાહને મળતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.વાસણીયા મહાદેવ મંદિરમાં અમિત શાહ દર્શન માટે પહોંચ્યા હતા જ્યાં તેઓની સાથે મહેન્દ્ર વાઘેલા પણ જોવા મળતા રાજકીય ગલીયારામાં ભાજપ પ્રવેશની અટકળોના સમાચાર ગુંજી રહ્યા છે. આ પહેલા પણ મહેન્દ્ર વાઘેલા કેસરીયો કરશે તેવી વાતો વહેતી થઈ હતી. પણ અમિત શાહના કાર્યક્રમમાં હાજર રહેતા હવે આવનારા દિવસોમાં મહેન્દ્ર વાઘેલા ભાજપ સાથે જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઇ રહી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 1, 2022
ફરી ભાજપમાં પ્રવેશના આપ્યા સંકેત?
મહત્વનું છે કે શંકરસિંહ વાઘેલા પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પહેલા ભાજપમાં જોડાયા હતા. જે બાદ તેમણે શંકરસિંહ નારાજ થતાં તેમને ભાજપ સાથે છેડો ફાડી લીધો હતો. પણ આવનાર ડિસેમ્બર મહિનામા કોઈ પક્ષમાં ગયા વગર હવે મહેન્દ્રસિંહ વાઘેલાની દાળ ગળે તેમ નથી એટલે ફરી ઘરવાપસીના નામે ગમે ત્યારે મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાવવાનો નિર્ણય લઈ શકે છે.
ગૃહમંત્રી અમિત શાહનો દિવસ ભરનો કાર્યક્રમ
''પહેલા રથયાત્રા સમયે તોફાન થતા"
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરી એકવાર રથયાત્રા મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતા મંદિર ટ્રસ્ટ દ્વારા યોજેલા કાર્યક્રમમાં અમિત શાહે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસના રાજમાં રથયાત્રા દરમિયાન લોકોના જીવ તાળવે ચોંટી જતા. પહેલા તોફાન થતાં હતા, ગોળીઓ ચાલતી હતી, પરંતુ ગુજરાતની જનતાએ ભાજપને સત્તા સોંપી ત્યારથી રથયાત્રા કર્ફ્યૂ મુક્ત બની છે. તેવું કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું.
જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરી
અમદાવાદના જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી બની મહાપ્રભુ જગન્નાથજીના આશીર્વાદ લીધા હતા અને કહ્યું હતું કે રથયાત્રાના શુભ પ્રસંગે અહીં આવવું અને મહાપ્રભુની આરાધના કરવી એ મારા માટે હંમેશા એક વિશિષ્ટ આધ્યાત્મિક અનુભવ છે.
PSM મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું
કલોલ ખાતે શ્રી સ્વામિનારાયણ વિશ્વવિદ્યાલયના નવા વહીવટી બ્લોકના ઉદ્ઘાટન અને 750 બેડની PSM મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું ભૂમિપૂજન પણ અમિત શાહે કર્યું હતું. જે બાદ સંબોધન કરતાં કહ્યું કે ધર્મની સાથે સાથે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સ્વામિનારાયણ સંસ્થાનું અજોડ યોગદાન છે.350 કરોડના ખર્ચે નિર્માણ થનારી PSM મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે વિશ્વ કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ હશે.તેમાં 100 ICU બેડ તેમજ સીટી સ્કેન, MRI, બ્લડ બેંક જેવી અન્ય સુવિધાઓ હશે. હું સ્વામિનારાયણ સંસ્થાને આ સેવાકીય કાર્ય માટે અભિનંદન પાઠવું છું.
વરદાયિની માતા મંદિરમાં દર્શન કર્યા
ગાંધીનગરનું રૂપાલ ધામ શ્રી વરદાયિની માતા મંદિરના નામથી પ્રખ્યાત છે. અહીં અમિત શાહે દર્શન અને પૂજા-અર્ચના કર્યા હતા. અને કહ્યું હતું કે મોદી સરકાર 'પ્રસાદ યોજના' દ્વારા આ પ્રાચીન મંદિરના જીર્ણોદ્ધાનુ કામ કરી રહી છે. આનાથી મંદિરનો કાયાકલ્પ થશે, રોજગારીનું સર્જન થશે અને વિસ્તારના આર્થિક વિકાસને વેગ આપશે.