થરાદ બેઠક પર 'દૂધવાલા'ની જીત; શંકર ચૌધરીને 116000 મત મળ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 90900 જેટલા મત મળ્યા છે.
થરાદ બેઠક પર 'દૂધવાલા' શંકર ચૌધરીની જીત
શંકર ચૌધરીને લગભગ 116000 મત મળ્યા
કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની હાર
થરાદ બેઠક પર ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીનો ભવ્ય વિજય થયો. શંકર ચૌધરીને 116000 મત મળ્યા છે જ્યારે ગુલાબસિંહ રાજપૂત 90900 જેટલા મત મળ્યા છે એટલે કે લગભગ 16 હજારની લીડથી મોદી-શાહના નજીકના ગણાતા દિગ્ગજ નેતા શંકર ચૌધરીનો વિજય થયો છે. આ વર્ષે બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠક પર ચૂંટણી રસપ્રદ બની હતી. કારણ કે ભાજપે દિગ્ગજ સહકારી આગેવાન 'દૂધવાલા' શંકર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા હતા. જેમની સામે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ વિરચંદ ચાવડાને ઉમેદવાર બનાવ્યા હતા.
2017માં પરબત પટેલ જીત્યા હતા.
થરાદ વિધાનસભા મતવિસ્તાર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવે છે. થરાદ સામાન્ય કેટેગરીની બેઠક છે અને તેનો મતવિસ્તાર નંબર 8 છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં થરાદ બેઠક માટે 3 અપક્ષ સહિત કુલ 7 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ભાજપના પરબત પટેલ જીત્યા હતા. વર્ષ 2012માં પણ અહીંથી ભાજપના પરબતભાઈ પટેલ જીત્યા હતા. બાદમાં પરબતભાઈ પટેલ સાંસદ બનતા અહીં પેટાચૂંટણી થઈ હતી. જેમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની જીત થઈ હતી. 2022ની વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસે ફરી ગુલાબસિંહ રાજપૂત પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જાતિગત સમીકરણો
આ બેઠક પર કુલ મતદાતા 2,17,849 છે. જેમાં 1,15,711 પુરુષ મતદાર અને 1,02,138 સ્રી મતદારોનો સમાવેશ થાય છે. થરાદમાં ચૌધરી પટેલ સમાજનું પ્રભુત્વ છે. જેમાં 16 ટકા જેટલા દેસી ચૌધરી પટેલ મતદારો છે. 10 ટકા મારવાડી ચૌધરી પટેલ છે. 14 ટકા ઠાકોર મતદારો છે. જ્યારે 15 ટકા દલિત મતદારો છે. જ્યારે બાકી અન્ય મતદારો છે.