ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં અમ્પાયરિંગ સામે સવાલો ઊઠ્યા છે. સિડની ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં પાંચ વાર એવું બન્યું, જ્યારે ફિલ્ડ અમ્પાયરે ભારતીય બેટ્સમેનોને આઉટ જાહેર કરી દીધા, જોકે ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને પાંચેય વાર પડકારવામાં આવ્યા અને ડીઆરએસે નિર્ણય પલટી નાખ્યા, જે ટીમ ઇન્ડિયાની તરફેણમાં રહ્યા.
ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઈ હતી ત્રીજી ટેસ્ટ
સિડની ટેસ્ટમાં ખરાબ અમ્પાયરિંગનો શરમજનક બનાવ
પાંચ પાંચ વાર DRSની મદદથી ભારતે લીધો રિવ્યુ
એમ તો સિડનીમાં કંગાળ અમ્પાયરિંગનો કિસ્સો નવો નથી. ૨૦૦૮માં શરમજનક અમ્પાયરિંગને કારણે ટીમ ઇન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો. એ મેચમાં ફક્ત બે ઓવરની રમત બાકી હતી અને કેપ્ટન રિકી પોન્ટિંગે માઇક ક્લાર્કને બોલ સોંપ્યો હતો. માઇકલ ક્લાર્કે ભારતના ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. એ મુકાબલામાં ઘણા નિર્ણયો ભારતની વિરુદ્ધમાં રહ્યા હતા, પરંતુ ડીઆરએસની સુવિધા ના હોવાને કારણે ટીમ ઇન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો.
સિડનીમાં રમાઈ હતી શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) પર રમાયેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે 'અમ્પાયર્સ કોલ'એ બે વાર ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને જીવનદાન આપ્યું હતું. જો બર્ન્સ વિરુદ્ધ બૂમરાહે બીજી ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં એલબીની અપીલ કરી હતી. મેદાન પરના અમ્પાયર બ્રૂસ ઓક્સનફોર્ડે નોટઆઉટનો નિર્ણય આપ્યો હતો, જેના પર ભારતે ડીઆરએસ માગ્યું, પરંતુ 'અમ્પાયર્સ કોલ'ને કારણે બર્ન્સ બચી ગયો હતો.
ત્યાર બાદ માર્નસ લાબુશેન પણ મોહંમદ સિરાજની બોલિંગમાં આ જ રીતે આઉટ થતા બચી ગયો હતો. અહીં પણ અમ્પાયર બ્રૂસ ઓક્સનફોર્ડે તેને નોટઆઉટ જાહેરા કર્યો હતો. ભારતે રિવ્યૂ લીધો હતો અને 'અમ્પાયર્સ કોલ'ને કારણે લાબુશેન બચી ગયો હતો.
સચિન તેંડુલકર પણ થયો નાખુશ
એ ઘટના બાદ ભારતના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન સચીન તેંડુલકરે આઇસીસી સમક્ષ ડીઆરએસમાં 'અમ્પાયર્સ કોલ'ના કાયદા પર સવાલ ઉઠાવીને કહ્યું હતું, ''આ અંગે ફરીથી વિચારવાની જરૂર છે. ખેલાડી રિવ્યૂ એટલા માટે માગે છે, કારણ કે તે મેદાન પરના અમ્પાયરના નિર્ણયથી ખુશ નથી. આઇસીસીએ ડીઆરએસ અંગે ફરીથી વિચારવાની જરૂર છે, ખાસ કરીને અમ્પાયર્સ
કોલ માટે.'