પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ અફરીદી છેલ્લા કેટલાક દિવસોથી વિવાદિત નિવેદનો આપી રહ્યા છે. તેઓ ભારત અને તેના પૂર્વ ક્રિકેટરો વિશે ઘણી વાતો કરી રહ્યા છે. આ વખતે અફરીદીએ ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરને એક સામાન્ય ખેલાડી ગણાવ્યો હતો. તમને જણાવી દઈએ કે,અફરીદી અને ગૌતમ ગંભીર વચ્ચેના સંબંધો હંમેશાં તણાવપૂર્ણ રહ્યાં છે. બંને હંમેશાં રમતના મેદાન અને સોશિયલ મીડિયા પર ટકરાતા જોવા મળે છે.
શાહિદ અફરીદીએ તેની બાયોગ્રાફી પુસ્તકમાં ઈન્ડિયન બેટ્સમેન પર કરી ટિપ્પણી
અફરીદીએ કહ્યું, ગૌતમ ગંભીરના નામે કોઈ મોટો રેકોર્ડ નથી
અફરીદીએ તેની આત્મકથા ગેમ ચેન્જરમાં ગૌતમ ગંભીરને એક સામાન્ય ખેલાડી તરીકે વર્ણવ્યો છે અને કહ્યું કે તેને બસ બોલતા જ આવડે છે. અફરીદીના જણાવ્યા અનુસાર ગૌતમ ગંભીરના નામે કોઈ મોટો રેકોર્ડ નથી પરંતુ તે પોતાને ડોન બ્રેડમેન અને જેમ્સ બોન્ડ માને છે. અફરીદીએ કહ્યું, 'સમસ્યા ગૌતમ ગંભીર વ્યવહારમાં છે. તેનું કોઈ વ્યક્તિત્વ નથી. તેની પાસે કોઈ મોટા રેકોર્ડ નથી, તેને માત્ર નખરાં કરતાં આવડે છે.
અફરીદીએ પોતાની પુસ્તકમાં ગૌતમ ગંભીર સાથે મેદાન પર થયેલી લડાઈનો ઉલ્લેખ કર્યો છે. અફરીદીના કહેવા મુજબ, વર્ષ 2007માં ભારતમાં રમાયેલી વનડેમાં તેની ગંભીર લડાઇ હતી. આફ્રિદીએ કહ્યું કે આ લડાઈ દરમિયાન અમે બંને એકબીજાને અપશબ્દો કહ્યાં હતા.
સેહવાગ પર પણ નિશાન સાધ્યું
શાહિદ અફરીદીએ પણ તેની પુસ્તકમાં વીરેન્દ્ર સહેવાગ પર પણ નિશાન સાધ્યું છે. આફ્રિદીએ લખ્યું છે કે, વીરેન્દ્ર સહેવાગ સોશિયલ મીડિયા પર પાકિસ્તાન વિરુદ્ધ નકારાત્મક ટિપ્પણીઓ કરતા રહે છે, શું આ જ યોગ્ય છે. શાહિદ અફરીદીએ ઇરફાન પઠાણ પર પણ ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું કે, હું અને ઇરફાન મેદાન પર એક બીજા સાથે લડતા હતા, ત્યારે એવું જ વિચારતા કે હવે મેદાન પર એક જ પઠાણ રહેશે. એ અથવા હું.
ભલે શાહિદ અફરીદીએ અન્ય ભારતીય બેટ્સમેનો સામે નકારાત્મક ટિપ્પણી કરી હતી, તેમ છતાં તેણે સચિન તેંડુલકરને સૌથી મજબૂત ભારતીય બેટ્સમેન ગણાવ્યો હતો. અફરીદીએ પોતાની બાયોગ્રાફીમાં 1996માં સચિનની શ્રીલંકા સામે 37 બોલમાં સદી ફટકારવાની સિદ્ધિનો પણ ઉલ્લેખ કર્યો હતો.