પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી એમ.એસ. ધોનીનો મોટો ફેન્સ છે. આફ્રિદીએ કહ્યું કે ''વર્ષ 2019 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા પાસે સારી તક છે અને તેની માટે ધોનીએ ટીમમાં રહેવુ જોઇએ.'' આટલુ જ નહી આફ્રિદીએ એમ.એસ ધોની અને વિરાટ કોહલીની કેપ્ટન્સીની તુલના કરતા મોટુ નિવેદન કર્યુ છે. આફ્રિદીનું માનવુ છે કે ''કેપ્ટન તરીકે કોહલી હજુ ધોનીની આસપાસ પણ નથી.''
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીનું કહેવુ છે કે ''મોર્ડન ડે ક્રિકેટના મહાન બેટ્સમેનોની વાત કરીએ તો વિરાટ કોહલીનો જવાબ નથી તે ખેલાડી તરીકે મારો ફેવરિટ છે. તે આ સમયે વિશ્વનો શાનદાર બેટ્સમેન છે પરંતુ કેપ્ટન્સીની વાત કરીએ તે મહેન્દ્રસિંહ ધોની તેનાથી ઘણો આગળ છે.'' આફ્રિદીએ કહ્યું કે ''કેપ્ટન્સીની વાત કરીએ તો તેને પોતાના સીનિયર ખેલાડી અને પૂર્વ કેપ્ટન એમ.એસ. ધોની પાસેથી ઘણુ શીખવાની જરૂર છે. કારણ કે મારી નજરમાં તો ધોની હજુ પણ બેસ્ટ કેપ્ટન છે.''
આફ્રિદીએ ધોનીના ભવિષ્ય અને સંન્યાસને લઇને કહ્યું ''ધોનીએ ટીમ ઇન્ડિયા માટે જે કર્યુ છે તે કોઇ કરી શકતુ નથી. કોઇની પાસે હક નથી કે તેને જણાવે કે ક્યારે સંન્યાસ લેવાનો છે. આવતા વર્ષે 2019ના વર્લ્ડકપમાં ભારત માટે સારી તક છે અને તેની માટે ધોનીએ ટીમમાં રહેવુ જોઇએ.''
ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ સબંધને લઇને આફ્રિદીએ કહ્યું ''મને નથી સમજમાં આવતુ કે બે સરકાર વચ્ચે ક્રિકેટને કેમ ઘસેડવામાં આવે છે. જો બન્ને દેશો વચ્ચે કોઇ વસ્તુથી સબંધ સારો થઇ શકે છે તો તે ક્રિકેટ જ છે તેને રાજકારણથી દૂર રાખવુ પડશે.'' આફ્રિદીએ કહ્યું ''ભારત અને પાકિસ્તાન વચ્ચે જો પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમાય છે તો આ એશિઝ સિરીઝની પણ લોકપ્રિયતાને પાછળ છોડી શકે છે. બન્ને ટીમો વચ્ચે ફરી એક વખત ક્રિકેટ સિરીઝ રમાવવી જોઇએ.''