મધ્ય પ્રદેશમાં કોરોના વાયરસના કારણે તારાજી જોવા મળી રહી છે ત્યારે ઑક્સીજન પર સરકાર શું કરી રહી છે તેના પર સવાલો ઊભા થયા છે.
એમપીના શહડોલમાં હોસ્પિટલમાં 12 દર્દીઓના મોત
સરકારી દાવાઓની ખૂલી ગઈ પોલ
હોસ્પિટલે કહ્યું કે ઑક્સીજનનું પ્રેશર ઓછું હતું
ઑક્સીજન પર સરકારના મોટા મોટા દાવા
ભારતમાં કોરોના વાયરસના કારણે હોસ્પિટલો ફૂલ થઈ રહી છે, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યો ફરિયાદ કરી રહ્યા છે કે ઑક્સીજન ખતમ થઈ રહ્યું છે. જોકે કેન્દ્ર સરકારના મંત્રીઑ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ કહી રહ્યા છે કે બધુ સારું છે, કોઈ અછત નથી. પરંતુ મધ્યપ્રદેશના શહડોલમાં હોસ્પિટલમાં ઑક્સીજનની કમીના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિજનોનું રુદન સરકારી દાવાઓની પોલ ખોલી રહી છે. નોંધનીય છે કે ગઇકાલે જ કેન્દ્રના મોટા મંત્રી પીયૂષ ગોયલે મોટા મોટા દાવા કર્યા હતા કે ઑક્સીજનની કોઈ જ કમી જ નથી. હવે સવાલ ઊભા થાય છે કે શું મધ્ય પ્રદેશમાં મડદા ખોટું બોલી રહ્યા છે?
પ્રાણવાયુ ન મળતા પ્રાણ ગયા!
શહડોલ જિલ્લામાં ઑક્સીજન ન હોવાથી 12 દર્દીઓના મોત થઈ ગયા. છના મોત મોડી રાતે જ થયા છે. પરિજનોનો આરોપ છે કે સિલેન્ડર ખતમ થઈ જવાના કારણે આ મોત થયા છે. મેડિકલ કૉલેજના ડીન કહી રહ્યા છે કે ઑક્સીજનની અછત નથી થઈ, ઑક્સીજનનું પ્રેશર ઓછું થઈ ગયું હતું. તેમણે કહ્યું કે ICUમાં બીજા કેટલાય દર્દીઓ છે. જૉ ઑક્સીજનની કમી હોત તો વધારે મોત થઈ હોત.
હોસ્પિટલનો લૂલો બચાવ
તેમણે કહ્યું કે સિલેન્ડર ઓછા છે પરંતુ દર્દીઓને પૂરતું ઑક્સીજન આપવામાં આવી રહ્યું છે. જોકે આ હોસ્પિટલમાં દર્દીઓના પરિજનોનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. અપર કલેકટર પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિસ્થિતિ જાણી હતી. અપર કલેકટર અર્પિત વર્માએ કહ્યું કે ઑક્સીજનનું પ્રેશર ઓછું થઈ જવાના કારણે 12ના મોત થયા છે.
કોંગ્રેસે ઊભા કર્યા સવાલ
આ મુદ્દે કોંગ્રેસ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે સવાલ ઊભા કર્યા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું એ ઑક્સીજન ઓછું હોવાના કારણે મોતના દુખદ સમાચાર. આખરે ક્યાં સુધી પ્રદેશમાં ઑક્સીજનની કમીના કારણે લોકોની મોત થયા કરશે?