સત્તા પર આવતાની સાથે જ પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફ સાઉદી અરબ અને ચીન જઇ શકે છે.
શાહબાઝ શરીફ સાઉદી અરબ અને ચીન જઇ શકે છે
બંને સાથે દેશના વ્યૂહાત્મક સંબંધોના કારણે યોજાઇ રહી છે આ યાત્રા
ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવામાં શાહબાઝની મહત્વની ભૂમિકા
પાકિસ્તાનના નવનિયુક્ત વડાપ્રધાન શાહબાઝ શરીફ હવે સત્તા સંભાળતાની સાથે જ સૌ પહેલાં વિદેશ યાત્રા પર સાઉદી અરબ અને ચીન જઇ શકે છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N)ના એક નેતાએ આ અંગેની જાણકારી આપી છે. તમને જણાવી દઇએ કે, પાકિસ્તાનના વડાપ્રધાનની પ્રથમ વિદેશ યાત્રા સાઉદી અરેબિયા અને ચીન બંને સાથે દેશના વ્યૂહાત્મક સંબંધોના કારણે યોજાઇ રહી છે.
સૂત્રોના જણાવ્યાં અનુસાર, સાઉદી અરેબિયાની યાત્રા દરમિયાન પીએમ શાહબાઝ શરીફ ઉમરાહ કરશે અને સાઉદી નેતૃત્વ સાથે મુલાકાત કરશે. સાઉદી અરેબિયાએ ભૂતકાળમાં પાકિસ્તાની સરકારોને નાણાકીય બેલઆઉટ પેકેજ આપ્યાં છે. હકીકતમાં, રિયાદે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની સરકારને 6 બિલિયન યુએસ ડોલરનું બેલઆઉટ પેકેજ આપ્યું હતું.
સાઉદી અરેબિયાએ થોડાં સમય પહેલાં પાકિસ્તાનને 3 બિલિયન ડૉલર આપ્યા હતાં
સાઉદી અરેબિયાએ થોડાં સમય પહેલાં પાકિસ્તાનને 3 બિલિયન ડૉલર આપ્યા હતાં પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી કે પાકિસ્તાનની નવી સરકાર સાઉદી અરેબિયા પાસેથી આર્થિક મદદ માંગશે. જ્યારે સાઉદીની મુલાકાત બાદ વડાપ્રધાન ચીનની પણ મુલાકાત લે તેવી શક્યતા છે.
શાહબાઝ પોતાના વહીવટી ગુણોના કારણે ચીનના નેતૃત્વમાં સારી એવી ઓળખ ધરાવે છે. છેલ્લાં પીએમએલ-એનના કાર્યકાળ દરમિયાન શાહબાઝ શરીફે ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. દેશની નેશનલ એસેમ્બલી દ્વારા ચૂંટાયા બાદ શાહબાઝ શરીફે સોમવારે પાકિસ્તાનના 23માં વડાપ્રધાન તરીકે શપથ લીધા હતાં.
PM મોદીના અભિનંદન પર શહબાઝ શરીફે આપ્યો હતો આ જવાબ
ભારત અને પાકિસ્તાને માત્ર પ્રાદેશિક શાંતિ સુનિશ્ચિત ન કરવી જોઈએ, પરંતુ તેમના લોકોના સામાજિક-આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પાકિસ્તાનના નવા વડા પ્રધાન શાહબાઝ શરીફે મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીના અભિનંદન સંદેશનો જવાબ આપતા આ વાત કરી હતી. શાહબાઝ શરીફે સોમવારે રાજકીય અનિશ્ચિતતાનો અંત લાવીને પાકિસ્તાનના વડાપ્રધાન પદના શપથ લીધા હતા. અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા ઈમરાન ખાનને પદભ્રષ્ટ કરવામાં આવ્યા બાદ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બન્યા છે.
Thank you Premier Narendra Modi for felicitations. Pakistan desires peaceful & cooperative ties with India. Peaceful settlement of outstanding disputes including Jammu & Kashmir is indispensable. Pakistan's sacrifices in fighting terrorism are well-known. Let's secure peace and.. https://t.co/0M1wxhhvjV
કાશ્મીર સહિત તમામ વિવાદોના શાંતિપૂર્ણ સમાધાન પર ધ્યાન આપવું જ જોઇએ
પીએમ મોદીના અભિનંદનના જવાબમાં શરીફે મંગળવારે એક ટ્વીટમાં કહ્યું હતું કે, "અભિનંદન બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. પાકિસ્તાન ભારત સાથે શાંતિપૂર્ણ અને સહયોગાત્મક સંબંધો ઈચ્છે છે. જમ્મુ-કાશ્મીર સહિત તમામ વિવાદોનો શાંતિપૂર્ણ ઉકેલ ખૂબ જ મહત્વપૂર્ણ છે." તેમણે કહ્યું કે, "આતંકવાદ સામે લડવામાં પાકિસ્તાનનું બલિદાન સ્પષ્ટ છે. ચાલો આપણે શાંતિ સુનિશ્ચિત કરીએ અને આપણા લોકોના સામાજિક-આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ."
પીએમ બન્યા બાદ શરીફે ભારતને કરી મિત્રતાની ઓફર
શરીફે વડાપ્રધાન તરીકે ચૂંટાયા પછી તરત જ ભારત સાથે ફરી મિત્રતા કરવાની ઓફર કરી હતી અને તેમના પ્રથમ ભાષણમાં કહ્યું હતું કે કાશ્મીર મુદ્દાને હલ કરીને જ બંને દેશો ગરીબી અને રોજગાર જેવી સામાન્ય સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. સોમવારે પીએમ મોદીએ ટ્વિટર પર શહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, ભારત આતંકવાદથી મુક્ત પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે.