વર્ષ 2017 માં ફિલ્મ રઈસના પ્રમોશન દરમિયાન ગુજરાતના વડોદરા રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું
ફિલ્મ રઈસના પ્રમોશન દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ થયું
કોંગ્રેસના નેતા જીતેન્દ્ર સોલંકીએ સ્થાનિક કોર્ટમાં ફરિયાદ કરી હતી.
હાઈકોર્ટના આદેશ સામે જીતેન્દ્ર સોલંકી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા
બૉલીવુડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનને પાંચ વર્ષ પહેલા થયેલ નાસભાગમાં એક વ્યક્તિના મૃત્યુના કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. જણાવી દઈએ કે વર્ષ 2017 માં ફિલ્મ રઈસના પ્રમોશન દરમિયાન ગુજરાતના વડોદરા રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને સાથે જ ઘણા લોકો ઘાયલ થયા હતા. આ વાતને લઈને કોંગ્રેસના નેતા જીતેન્દ્ર સોલંકીએ સ્થાનિક કોર્ટમાં ફરિયાદ કરી હતી.
જિતેન્દ્ર સોલંકીએ વડોદરા કોર્ટમાં ફરિયાદ નોંધાવીને કહ્યું હતું કે શાહરૂખ ખાને ફિલ્મના નામવાળું ટીશર્ટ અને બીજી પ્રમોશનલ વસ્તુઓ લોકોની ભીડ તરફ ફેંકી હતી. જેના કારણે આ ઘટના બની હતી. એ પછી શાહરૂખ ખાને વડોદરા કોર્ટમાંથી જારી કરાયેલા સમન્સને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને આ વર્ષે એપ્રિલમાં હાઈકોર્ટે આ કેસને રદ કર્યો હતો.
એપ્રિલ મહિનામાં હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે શાહરુખ ખાન સત્તાવાર પરવાનગીથી પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા હતા એ સ્ટેશન પર નાસભાગ માટે ઘણા કારણો હતા. આટલા કારણોમાં કોઈ એક વ્યક્તિને જવાબદાર ન કહી શકીએ. સ્ટેશન પર હાજર રેલ્વે સ્ટાફ, પોલીસ કે ઘાયલ થયેલા કોઈએ પણ વ્યક્તિએ શાહરુખ ખાન સામે ફરિયાદ નોંધાવી નથી. આ ફરિયાદ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી જે ત્યાં હાજર પણ ન હતા.
જણાવી દઈએ કે હાઈકોર્ટના આદેશ સામે જીતેન્દ્ર સોલંકી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા પણ જસ્ટિસ અજય રસ્તોગી અને સીટી રવિકુમારે તેમની અપીલ ફગાવી દીધી હતી.
2017નો એ ઘટનાક્રમ
વડોદરા સ્ટેશને 23 જાન્યુ. 2017ના રોજ રાત્રે 10 વાગ્યે ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન મુંબઈથી દિલ્હી જતી ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનમાં ફિલ્મ રઈસના પ્રમોશન માટે આવ્યો હતો. ટ્રેનના કોચ નંબર A-4માં, કે જ્યાં તેનું બુકિંગ ન હતું, છતાં ત્યાંથી પ્રમોશનલ એક્ટિવિટી કરી હોવાનો આરોપ હતો. ફિલ્મ અભિનેતાએ થોડો સમય વડોદરામાં રોકાણ કર્યું હતું. અભિનેતાના શાહરૂખ ખાનના આગમનથી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર પ્રસંશકોની ભારે ભીડ એકઠી થઈ હતી. આ વખતે અભિનેતા શાહરૂખે ઉમટેલી ભીડ તરફ પોતાનું ટીશર્ટ અને બોલ ટોળામાં ફેંક્યા, આ બાદ તુરંત જ અફરાતફરી મચી જતાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે કેટલાક લોકોને ઈજા પણ થઈ હતી.