ગુજરાતમાં 'વાયુ' વાવાઝોડુ ત્રાટકવાની આશંકા છે. આવતીકાલે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી આશંકા છે. અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાતા વાવાઝોડાનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એવી પણ આગાહી કરવામાં આવી છે કે ડીપ ડીપ્રેશન 24 કલાકમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે.
જે બાદ 12થી 14 જૂન સુધી વાવાઝોડાની અસર રહેવાની સંભાવના છે. હાલ વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારાથી 930 કિલોમીટર દૂર છે. વાવાઝોડુ હાલ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યું છે. ત્યારે વાવાઝોડાના પગલે ભારે વરસાદ પડે તેવી પણ શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 5થી 7 ઈંચ જેટલો વરસાદ પડે તેવી સંભાવના છે. વાવાઝોડાના પગલે તંત્રને પણ અલર્ટ કરી દેવામાં આવ્યું છે.
કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડાનું સંકટ છે. ત્યારે વાવાઝોડાના સંભવિત ખતરાને લઇ NDRFની ટીમની મદદ લેવામાં આવી છે. હાલ NDRFની 26 ટીમ રાજ્યમાં સ્ટેન્ડ ટુ રખાઇ છે. ગુજરાત NDRFની 15 ટીમ તૈનાત છે અને પંજાબથી NDRFની 5 ટીમ બોલાવાઇ છે. જેને રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર, વેરાવળ, અમરેલી. ઉપરાંત કંડલા, મુંદ્રા, માંડવી, નલિયામાં તૈનાત કરાશે. હાલ ગાંધીનગરથી NDRFની 2 ટીમ અને વડોદરાથી 9 ટીમ રવાના કરાઇ છે.
સંભવિત વાયુ વાવાઝોડાને લઈ પોરબંદર અને દ્વારકામાં તંત્રને એલર્ટ કરાયું છે. તંત્રના તમામ કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દેવાઇ છે. તમામ કર્મીઓ, અધિકારીઓને હેડ ક્વાર્ટર નહીં છોડવાના આદેશ અપાયાં છે. જ્યારે સમુદ્ર કિનારે લોકોને નહી જવા સુચના અપાઇ છે.