'મહા' ચક્રવાતથી ગુજરાતમાં ભય ટળ્યો છે. હવામાન ખાતાની જાણકારી મુજબ 'મહા' વાવાઝોડાંની અસર થશે. વાવાઝોડાની અસરના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. આ સાથે આજે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદ થશે.
'મહા' ચક્રવાતની ગુજરાતમાં થશે સામાન્ય અસર
આજે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદ
દરિયા કાંઠાના વિસ્તારોમાં ફૂંકાશે પુરઝડપે પવન
દરિયાકાંઠા વિસ્તારમાં જોવા મળશે અસર
વાવાઝોડાં 'મહા'નો ખતરો હાલ રાજ્ય પરથી ટળી ગયો છે. તેમ છતાં તેની અસરના પગલે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પુરઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ તેમજ સુરેન્દ્રનગરમાં વરસાદ થઇ શકે છે. પશ્ચિમ કચ્છના દરિયાકાંઠા પર વરસાદી માહોલ રહેશે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી
'મહા' વાવાઝોડાની અસરના પગલે રાજ્યના દરિયાકાંઠાના તટીય વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ચક્રવાતના કારણે વરસાદની શક્યતા છે. જેના કારણે વલસાડ, નવસારી, સુરતમાં વરસાદની સંભાવના છે. જ્યારે મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાની શક્યતાઓ છે.
કેટલાંક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ
રાજ્યમાં 'મહા' વાવાઝોડાના અસરના કારણે વડોદરા, અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદ થશે. મહાચક્રવાતના કારણે 8 નવેમ્બર સુધી સામાન્ય અસર રહેશે. અત્યાર આ વાવાઝોડુ વેરાવળ કિનારાથી અંદાજિત 700 કિલોમીલટર દૂર છે. આગામી 48 કલાક ઉત્તર-પશ્ચિમ દિશામાં ગતિ કરશે.
ગુજરાતમાં આ પાંચમું વાવાઝોડું
મહત્વનું છે કે, ગુજરાત પર આ પાંચમાં વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે. કારણ કે, આ પહેલા ફેની, વાયુ, હિકા અને ક્યારનું સંકટ મંડરાયું હતું. પરંતુ તેનો કહેર ગુજરાત પર વરસ્યો નહોતો. જ્યારે મહા ગુજરાતના દરિયા કિનારે ટકરાઇ તેવા એંધાણ હતા જો કે હાલ હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર હાલમાં રાજ્ય પરથી 'મહા' વાવાઝોડાંનો ભય ટળી ગયો છે.