થોડા દિવસો અગાઉ ઉત્તરપ્રદેશ અને બિહારનાં અનેક જિલ્લામાં વરસાદ આફત બનીને વરસ્યો હતો. જેમાં આકાશમાંથી વીજળીએ કહેર વેરતા 83 લોકોનાં મોત થયા હતા. તો વીજળીની ઝપેટમાં આવતા અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. કહેવામાં આવે છે કે મૃતકોમાંથી મોટાભાગનાં ખેતરમાં કામ કરતા હતા. બાળકો અને મહિલાઓ સહિત અનેક લોકોને ઇજાઓ થઈ હતી. ત્યારે આજે (મંગળવાર) ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વીજળી પડવાની ઘટના સામે આવી હતી. જેમાં કુલ 7 લોકોના મોત અને 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
ગુજરાતમાં આજે વીજળી પડતા કુલ 7ના મૃત્યુ
જામનગર, બોટાદ અને ગાંધીનગરમાં મૃત્યુ થયા
જામનગર જિલ્લાના લાલપુરમાં 3ના અવસાન
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. તેવામાં ગુજરાતમાં આજે વીજળી પડતા કુલ 7ના મૃત્યુ થયા છે. જેમાં જામનગર, બોટાદ અને ગાંધીનગરમાં મૃત્યુ થયા છે. જેમાં સૌથી વધુ જામનગર જિલ્લામાં થયા છે. જામનગરના લાલપુરમાં 3ના અવસાન થયા છે. જ્યારે બોટાદમાં 3 અને ગાંધીનગરમાં એકનું મૃત્યુ થયુ થયું છે. આ સિવાય વીજળી પડતા કુલ 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
બોટાદ જિલ્લામાં એક 5 વર્ષની બાળકી અને 60 વર્ષના વૃદ્ધનું મોત થયું છે. જ્યારે બોટાદના સરવઇ ગામે વાડીમા કામ કરતી મહિલા પર વીજળી પડતા તેનું મોત નીપજ્યું છે. જામનગર જિલ્લાના લાલપુરના ખટીયા ગામે વીજળી પડતા માતા-પુત્રના મોત થયા છે. વાડી વિસ્તારમાં વીજળી ત્રાટકતા નીતાબેન સીતાપરા અને તેના પુત્ર વિશાલ સીતાપરાનું મોત નીપજ્યું હતું. જ્યારે જસદણના ડોડિયાળા ગામમાં વીજળી પડતા એક વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખસેડાયા છે.
જૂનાગઢના કેશોદ તાલુકાના અજાબ-રાણીંગપરા ગામમાં વીજળી પડી હતી. અજાબ ગામમાં વીજળી પડતા મકાનના સ્લેબમાં તિરાડો પડી છે. તો બીજી તરફ રાણીંગપરા ગામમાં ખેતરમાં કામ કરતા શ્રમિકો પર વીજળી પડી હતી. આ ઘટનામાં 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. 15થી વધુ લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. સિવિલ હોસ્પિટલમાં એક બેડ પર બે દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.
ખંભાળિયામાં 3 સ્થળો પર વીજળી પડવાની ઘટના
ખંભાળિયામાં ત્રણ સ્થળો પર વીજળી પડવાની ઘટના બની હતી. જોધપુર ગેઇટ પાસે ખોડિયાર ચોકમાં વીજળી પડી હતી. વીજળી પડતા મંદિરનો કળશ તૂટી ગયો છે. તો વીજળી પડવાના કારણે આસપાસના ઘરોમાં ઇલેક્ટ્રિક ઉપકરણોને પણ નુકસાન થયું છે. TV, ફ્રીજ સહિતના ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકસાન થયું છે.
ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં મકાન પર વીજળી પડતા ઘરવખરીને મોટું નુકસાન થયું હતું. જ્યારે નગર નાકા પાસે શ્યામ પેલેસના બિલ્ડીંગ પર વીજળી પડવાથી બિલ્ડીંગના કેટલાક ભાગને નુકસાન થવા પામ્યું છે. વીજળી પડવાના બનાવના પગલે લોકોમાં ડરનો માહોલ છવાયો છે. તો અરવલ્લીના મેઘરજમાં વૃક્ષ પર વીજળી પડી હતી. વીજળી પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.
રાજકોટના મવડીના ભાગોળ વિસ્તારમાં પડી વીજળી પડી
રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે. મવડીના ભાગોળ વિસ્તારમાં વીજળી પડી હતી. આ વીજળી પડવાનો વીડિયો પણ વાયરલ થયો છે.