સીરિયા અને ઈરાનના ખૂંખાર આતંકવાદી સંગઠન ISIS છેલ્લા કેટલાક સમયથી ભારતમાં આતંકી ગતિવિધિઓને જન્મ આપી રહ્યું છે. ગઈકાલે એનઆઈએ કોર્ટે ભોપાલ ઉજ્જેન લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસમં 9 આતંકીઓને દોષી ઠેરવીને 7ને ફાંસી સજા ફટકારી હતી અને 1ને આજીવન કારાવાસની સજા આપી છે હવે આજે લખનઉની એનઆઈએ કોર્ટે પણ ટેરર કેસમાં 7 આતંકીઓને મોતની સજા ફટકારી છે.
લખનઉની વિશેષ એનઆઈએ કોર્ટે સાતને ફટકારી ફાંસી
લખનઉની વિશેષ એનઆઈએ કોર્ટે ઈસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ)ના સાત આતંકીઓને ફાંસીની સજા અને કાનપુર આતંકી ષડયંત્ર કેસમાં એકને આજીવન કેદની સજા સંભળાવી છે. જે કટ્ટરપંથી ગુનેગારોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે તેમાં મોહમ્મદ ફૈઝલ, ગૌસ મોહમ્મદ ખાન, મોહમ્મદ અઝહર, અતિક મુઝાફર, મોહમ્મદ દાનિશ, મોહમ્મદ સૈયદ મીર હુસૈન અને આસિફ ઇકબાલનો સમાવેશ થાય છે. એક મોહમ્મદ આતિફ ઉર્ફે આસિફ ઈરાનીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. 2017માં કાનપુરમાં તમામ આઠ દોષિતોની ધરપકડ કરવામાં આવી હતી. આ સજા સંભળાવતા વિશેષ એનઆઈએ કોર્ટના જજ વી.એસ.ત્રિપાઠીએ અવલોકન કર્યું હતું કે આ કેસ રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં આવે છે અને દોષિતોને કડકમાં કડક સજાના હકદાર છે.
શું કર્યું હતું આતંકીઓએ
આ કેસની એફઆઈઆર 8 માર્ચ, 2017ના રોજ લખનઉના એટીએસ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. વાસ્તવમાં એટીએસને પ્રતિબંધિત આતંકી સંગઠન આઈએસઆઈએસના સભ્યોની દેશભરમાં અલગ અલગ જગ્યાઓ પર બ્લાસ્ટ કરવાની યોજના વિશે માહિતી મળી હતી. કાનપુર એટીએસએ પહેલા મોહમ્મદ ફૈઝલની ધરપકડ કરી હતી અને બાદમાં તેના ખુલાસાઓને પગલે એટીએસના જાસૂસોએ અન્ય લોકોને પકડવાની કાર્યવાહી કરી હતી. સરકારી વકીલના જણાવ્યા મુજબ આરોપીએ ઉન્નાવના ગંગા ઘાટ પર ટેસ્ટ બ્લાસ્ટ કર્યો હતો. તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આરોપીઓ કાનપુર-ઉન્નાવ રેલવે ટ્રેકને બ્લાસ્ટ કરવાની યોજના ધરાવે છે અને ત્યાં પણ બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. દશેરાની ઉજવણી દરમિયાન તેઓએ વિવિધ સ્થળોએ બોમ્બ પણ લગાવ્યા હતા.