ગત શુક્રવારે હરભજનસિંહનું નામ પણ એ ખેલાડીઓની યાદીમાં નોંધાઈ ગયું, જેમણે કોઈ ને કોઈ કારણસર ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી આઇપીએલમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હોય. ભજ્જીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ને ૧૯ સપ્ટેમ્બરે આઇપીએલની ઉદઘાટન મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાવાનું છે. આજે અહીં એવા ખેલાડીઓ પર નજર કરીએ, જેઓ ૨૦૨૦ની આઇપીએલ છોડી ચૂક્યા છે. ખાસ કરીને સીએસકેને મોટા ઝટકા લાગ્યા છે, કારણ કે આ ટીમમાંથી સુરેશ રૈના અને હરભજનસિંહે આઇપીએલમાં અંગત કારણસર ના રમવાનું નક્કી કર્યું છે.
૧. ક્રિસ વોક્સઃ ૧૯ સપ્ટેમ્બરથી દિલ્હી કેપિટલ્સ તરફથી ક્રિસ વોક્સ આઇપીએલ-૨૦૨૦માં ઊતરવાનો હતો, પરંતુ તેણે અંગત કારણસર આઇપીએલમાં નહીં રમવાનો નિર્ણય કર્યો. દિલ્હી કેપિટલ્સે તેના રિપ્લેસમેન્ટ તરીકે દક્ષિણ આફ્રિકાના એનરિક નોર્ત્ઝેને ટીમમાં સામેલ કર્યો છે.
૨. હેરી ગર્નીઃ ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર હેરી ગર્ની કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી આઇપીએલમાં રમવાનો હતો, પરંતુ ખભાની ઈજાના કારણે આઇપીએલમાં રમવાનો નથી. કેકેઆર તરફથી હજુ સુધી આ ખેલાડીના વિકલ્પ તરીકે કોઈ નામની જાહેરાત કરવામાં આવી નથી.
૩. જેસન રોયઃ ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોયને થોડા દિવસ પહેલાં પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી. આ જ કારણથી જેસન રોય પાકિસ્તાન સામેની ટી-૨૦ મેચની શ્રેણીમાં રમ્યો નહોતો. ત્યાર બાદ દિલ્હી કેપિટલ્સે તેના સ્થાને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ડેનિયલ સેમ્સને પોતાની ટીમમાં સામેલ કર્યો. દિલ્હીએ જેસન રોયને રૂ. ૧.૫૦ કરોડની કિંમતમાં ખરીદ્યો હતો.
૪. સુરેશ રૈનાઃ સીએસકેના આ મહત્ત્વપૂર્ણ ખેલાડીએ ટૂર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો ત્યારે બધાંને આશ્ચર્ય થયું હતું. મીડિયામાં અલગ અલગ સ્ટોરી સામે આવી. ટીમના ઓનર શ્રીનિવાસને પણ જણાવ્યું કે શા માટે રૈનાએ ટીમનો સાથ છોડ્યો. ૨૦૨૦ની આઇપીએલ માટે સુરેશ રૈનાને રૂ. ૧૧ કરોડ જેટલી અધધ કિંમતે રિટેન કરવામાં આવ્યો હતો. હાલ જોકે સીએસકેએ રૈનાના વિકલ્પની જાહેરાત કરી નથી. બની શકે કે રૈના યુ-ટર્ન લઈ ટૂર્નામેન્ટમાં રમવા માટે પાછો ફરે, જોકે રૈનાની વાપસી ધોની પર નિર્ભર કરે છે.
૫. કેન રિચર્ડસનઃ આરસીબીએ આ ઓસ્ટ્રેલિયન ખેલાડીને રૂ. ચાર કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ નવેમ્બરમાં જ તે પિતા બનવાનો છે. રિચર્ડસને આ જ કારણે આઇપીએલમાંથી નામ પાછું ખેંચી લીધું. આરસીબીએ તેના સ્થાને સ્પિનર એડમ ઝમ્પાને ટીમમાં સામેલ કરી લીધો છે.
૬. લસિથ મલિંગાઃ શ્રીલંકાનો યોર્કર સ્પેશિયાલિસ્ટ મલિંગા અંગત કારણસર આ વખતની આઇપીએલમાં રમવાનો નથી. ૩૭ વર્ષીય આ ફાસ્ટ બોલરનો આઇપીએલમાં રેકોર્ડ બહુ જ શાનદાર રહ્યો છે અને તે ટૂર્નામેન્ટના ઇતિહાસનો સૌથી સફળ બોલર છે. મલિંગના સ્થાને મુંબઈએ ઓસ્ટ્રેલિયાના જેમ્સ પેટિન્સનને ટીમમાં સામેલ કર્યો છે.
૭. હરભજનસિંહઃ આ સ્પિનરે આઇપીએલમાંથી નામ પાછું ખેંચી લઈ સીએસકેને બીજો મોટો ઝટકો આપ્યો છે. ભજ્જીએ ટ્વિટર પર આગામી આઇપીએલમાં નહીં રમવાની જાહેરાત કરી હતી, જોકે સીએસકે પાસે ઇમરાન તાહિર, મિચલ સેન્ટનર અને પીયૂષ ચાવલા જેવા ત્રણ ધુરંધર સ્પિનર હાજર છે. ભજ્જીના સ્થાને હજુ સુધી કોઈ અન્ય ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.