અમદાવાદના માંડલ તાલુકાના વરમોર ગામે દલિત યુવાનની હત્યા કરવામાં આવી હતી. 8 લોકોએ મળીને યુવાનની હત્યા કરી હતી. આ મામલે પોલીસે આરોપી દશરથસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં પોલીસે કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી હજુ ફરાર છે. હરેશ સોલંકી અને ઉર્મિલા નામની યુવતી એક બીજાના પ્રેમમાં પડ્યા હતા.
ત્યાર બાદ બન્નેએ પ્રેમ લગ્ન કર્યા હતા. હરેશ સોલંકી દલિત યુવક હતો જ્યારે ઉર્મીલા દરબાર જ્ઞાતિની હતી. પ્રેમ લગ્ન કરતા ઉર્મિલાનો પરિવાર બે મહિનાથી વરમોર ગામમાં લઈને આવ્યા હતા. ત્યારે પત્નીના પરિવારને સમજાવવા માટે હરેશ 181 અભયમના અધિકારીઓને લઈને ગામમાં પહોંચ્યો હતો. આ દરમિયાન 8 શખ્સોએ મળીને હરેશની હત્યા કરી હતી. પોલીસે હત્યા, સરકારી કામમાં દખલગીરી અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે.
યુવતીનું પોલીસે નિવેદન લીધું
માંડલમાં વરમોર ગામમાં દલિત હત્યા કેસમાં પોલીસે યુવતીની ભાળ મેળવી છે. પોલીસે યુવતીનું નિવેદન લીધું છે. અગાઉ યુવતીએ માંડલ પોલીસ, મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. યુવતીના પરિવારજનો યુવકને ઘમકી આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો. અરજી મામલે માંડલ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરાઈ હતી. પોલીસે 5 હજારની સિક્યોરિટી ભરાવીને બાંહેધરી લેવાઈ હતી. યુવતીના સાસરિયાઓને હેરાન નહીં કરે તેવી બાંહેધરી લેવાઇ હતી. યુવતીએ અરજીમાં પિતા સહિત પાંચ પરિવારજનોના નામ લખ્યા હતા.
જાતિવાદ બંધ કરવા કરી માંગ
માંડલના વરમોર ગામે યુવકની હત્યાના મામલે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. હરેશ સોલંકીની હત્યાના મામલે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. દલિત સમાજના આગેવાનો અને હોદેદારોએ આવેદનપત્ર આપ્યું હતું. તેમજ આરોપીની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે. જાતિવાદ અને દલિત અત્યાચાર બંધ કરવા માંગ કરી છે. પોલીસ આરોપીઓને છાવરી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. કલેક્ટરને અલગ-અલગ 8 માંગણીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યુ છે.