આજથી વેક્સીનેશનના ત્રીજા તબક્કાની શરૂઆત ભારતમાં થઈ છે. આ સમયે સીરમ ઈન્સ્ટીટ્યૂટે ભારતની બહાર અન્ય દેશમાં વેક્સીનના પ્રોડક્શનને લઇને વિચાર કર્યો છે.
આજથી વેક્સીનેશનના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ
સીરમ ઈન્સ્ટીટ્યૂટે કર્યો મહત્વનો વિચાર
ભારતની બહાર અન્ય દેશમાં વેક્સીનના પ્રોડક્શનને લઇને વિચાર કર્યો
કોરોના વાયરસની વિરોધમાં લડાઈને ઝડપી બનાવવાની સાથે આજથી ભારતમાં વેક્સીનેશનના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ છે. જેમાં 18 વર્ષથી 44 વર્ષના લોકોને વેક્સીન આપવામાં આવશે. અનેક રાજ્યોમાં વેક્સીનની અછતના કારણે વેક્સીનેશન થઈ રહ્યું નથી. આ સમયે ન્યૂઝ આવી રહ્યા છે કે કોવિશિલ્ડ વેક્સીનની નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ભારતની બહાર અન્ય દેશોમાં પણ વેક્સીનના પ્રોડક્શનને લઈને વિચાર કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે વેક્સીનની પ્રોડક્શનની ક્ષમતાને વધારવા માટે તેની પર વિચાર કરાઈ રહ્યો છે.
શું કહ્યું અદાર પૂનાવાલાએ
સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું છે કે કંપની અન્ય દેશોમાં એસ્ટ્રાજેનેકાની વેક્સીન બનાવવાની યોજના પર કામ કરી રહી છે. શુક્રવારે એક ઇન્ટરવ્યૂમાં તેઓએ કહ્યું કે આવનારા દિવસોમાં એક જાહેરાત થઈ શકે છે. કંપની ભારતમાં એસ્ટ્રાજેનેકા વેક્સીનને કોવિશિલ્ડના નામે બનાવે છે.
જુલાઈ સુધી કંપની કરશે આટલી સંખ્યામાં પ્રોડક્શન
સીરમ ઈન્સ્ટીટ્યૂટના અદાર પૂનાવાલાએ કહ્યું છે કે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા જુલાઈ સુધીમાં માસિક આઉટપુટ 100 મિલિયન ડોઝ સુધી કરશે. પહેલા આ ટાઈમલાઈન મે મહિનાના અંત સુધીની હતી. ભારતના અનેક રાજ્યોએ પણ વેક્સીનની ખામી જણાવી છે અને તેના કારણે આજથી અનેક રાજ્યોમાં વેક્સીનેશનનું ત્રીજું ચરણ શરૂ થઈ શક્યું નથી.
અદાર પૂનાવાલાએ કહ્યું કે આવનારા 6 મહિનામાં સીરમનું પ્રોડક્શન 2.5 બિલિયનથી 3 બિલિયન કરાશે જે વાર્ષિક હશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આજે ભારતમાં એક દિવસમાં 4 લાખથી વધારે કેસ મળ્યા છે.