કેરળમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતી સર્જાઈ છે. ભારે વરસાદથી મકાન ધરાશાયી થતા બે બાળકીઓ સહિત ત્રણ લોકોના મોત થયા છે. અને હવામાન વિભાગે હજું પાંચ દિવસ અહીયા ભારે વરસાદની આગાહી કરી છે.
કેરળમાં પૂરને કારણે ગંભીર પરિસ્થિતી
બે બાળકીઓ સહિત ત્રણના મોત
આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી
કેરળના કેટલાય ભાગોમાં મંગળવાર સવારથી અનરાધાર વરસાદ શરૂ થઈ જતાં રાજ્યના કેટલાય વિસ્તારોમાં પ્રચંડ પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કહેરના કારણે અલગ અલગ દુર્ઘટનાઓમાં બે બાળકીઓ સહિત ત્રણ લોકોનાં મોત થયાં છે.
મકાન ધરાશાયી થતા બે બહેનોના મોત
પોલીસના જણાવ્યા અનુસાર, મુંડોટ્ટુપડમ્ નજીક માથમકુલમમાં મકાન ધરાશાયી થવાથી છ મહિનાની એક બાળકી અને તેની આઠ વર્ષની બહેનનાં મોત થયાં હતાં. જોકે, બાળકીઓનાં માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યોને કોઈ ઈજા થઈ ન હતી. પરંતુ આ દુર્ઘટનામાં બે નાની બાળકીઓને જીવ ગુમાવાનો વારો આવ્યો છે.
હોસ્પિટલમાં બાળકીઓનું મોત
સ્થાનિક સૂત્રોનાં જણાવ્યા અનુસાર, નજીકમાં એક નિર્માણાધીન મકાન વરસાદના કારણે વહેલી પરોઢે ૪.૩૦ કલાકે પીડિતોના મકાન પર ધરાશાયી થઈ ગયું હતું અને તેના કાટમાળ નીચે આ બે બાળકીઓ દટાઈ ગઈ હતી. તેમને કાટમાળમાંથી બહાર કાઢીને તાત્કાલિક નજીકની કોઝિકોડ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, પરંતુ ડોક્ટરો આ બાળકીઓને બચાવી શક્યા ન હતા.
આગામી 5 દિવસ ભારે વરસાદ
આ ઉપરાંત દક્ષિણ કેરળના કોલ્લમ જિલ્લામાં થેનમાલા નજીક નાગમાલામાં એક એસ્ટેટ મજૂર ગોવિંદરાજ વરસાદનું પાણી ભરાવાના કારણે ડૂબી ગયો હતો. બીજી તરફ હવામન વિભાગના તિરુવનંતપુરમના ડાયરેક્ટર સંતોષે જણાવ્યું હતું કે અરબી સમુદ્ર અને બંગાળના અખાતમાં સર્જાયેલ ચક્રવાતી દબાણની અસરથી કેરળમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે. તેથી પાંચ દિવસ માટે હાઈએલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ભારે પવન અને તોફાન સાથે વરસાદ પડશે
તેમણે જણાવ્યું કે, કેટલાક જિલ્લામાં ૨૦ સેન્ટિમીટર સુધી મૂશળધાર વરસાદ થવાની શક્યતા છે. વરસાદની સાથે સાથે તોફાની પવનો પણ ફૂંકાશે અને સમુદ્રની લહેરોમાં પણ ઊછાળો આવી શકે છે. આથી માછીમારોને પાંચ દિવસ સુધી કેરળ અને લક્ષદ્વીપ તટ પર નહીં જવાની ચેતવણી જારી કરવામાં આવી છે.