ગુજરાતના સુરત જિલ્લામાંથી પોલીસના દમનની એક ભયાનક ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના ઉમરા પોલીસ મથકમાં બંધ રહેલા એક શખ્સને ચોરીનો માલ ખરીદવાના આરોપસર સત્તાવાર ધરપકડ કર્યા વગર પોલીસે એક સપ્તાહ માટે બંધક બનાવી રાખ્યો હતો અને તેની સાથે બર્બરતા આચરી હોવાનો દાવો કરાયો છે.
સુરત પોલીસ પર એક શખ્સનો ખૂબ જ ગંભીર આક્ષેપ
ધરપકડ કર્યા સિવાય એક અઠવાડિયા સુધી લોકઅપમાં રાખીને કર્યો ટોર્ચર
5 ઓક્ટોબરે અટકાયત કરી, જ્યારે કે કાગળ ઉપર 13 ઓક્ટોબરની તારીખ દેખાડી
મોહમ્મદ જાવેદ નામના વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે ધરપકડ કર્યા બાદ તેને એક અઠવાડિયા માટે કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. પોલીસે સત્તાવાર રીતે ધરપકડ બતાવી નથી. જાવેદે આક્ષેપ કર્યો છે કે સળીયા સાથે તેના પ્રાઈવેટ પાર્ટ માં પેટ્રોલ અને મરચું નાખીને તેની સાથે ક્રૂરતા આચરવામાં આવી હતી.
કોર્ટે આપ્યા હતા મેડીકલ તપાસ કરવાના આદેશ
જાવેદના એડવોકેટ યુસુફ શેખે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે ઉમરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ ઝાલા સામે ગુનો નોંધવા અને આરોપીની મેડીકલ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. 6 ઓક્ટોબરના રોજ મોહમ્મદ જાવેદ વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ચોરીનો માલ ખરીદવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે 13 ઓક્ટોબરના રોજ મોહમ્મદ જાવેદની ધરપકડ બતાવી હતી.
જયારે કે જાવેદે કહ્યું હતું કે પોલીસે 5 ઓક્ટોબરે જ તેની ધરપકડ કરી લીધી હતી, પરંતુ કોઈ કેસ બનાવ્યો નહોતો, અને કોર્ટમાં રજૂ પણ કર્યો નહોતો. 11 ઓક્ટોબરે તેને માર મારવામાં આવ્યો હતો. જાવેદે કોર્ટમાં પોલીસ ઇન્સ્પેક્ટર ના કૃત્ય વિશે જણાવ્યું. જાવેદના નિવેદન બાદ કોર્ટે મેડીકલ તપાસના આદેશ આપ્યા છે.
સિવિલ હોસ્પિટલના CMO એ સ્વીકાર્યું, વ્યક્તિના શરીર પર ઈજાના નિશાન હતા
સિવિલ હોસ્પિટલના CMO ડો.દિનેશ મંડલના જણાવ્યા મુજબ, જાવેદના પ્રાઈવેટ પાર્ટમાં ઈજા પહોંચી છે, સર્જરીના ડોક્ટરોએ એ પ્રારંભિક તપાસમાં પ્રાઈવેટ પાર્ટમાં ઈજાઓ ચકાસી હતી. વ્યક્તિના પેટ, જાંઘ સહિતના શરીરના ઘણા ભાગો પર ઈજા પહોંચવાના નિશાન જોવા મળ્યા છે.
જાવેદે આક્ષેપ કર્યો છે કે ઈન્સ્પેક્ટર કુલદીપસિંહ ઝાલાએ પોતે જ તેની સાથે લોકઅપ માં બર્બરતા આચરી હતી. હકીકતમાં, ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 20 સપ્ટેમ્બરના રોજ સંજય જૈન નામના વ્યક્તિનો મોબાઇલ ચોરાયો હતો. 6 ઓક્ટોબરે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. મોહમ્મદ જાવેદ કહે છે કે પોલીસે 5 ઓક્ટોબરના રોજ તેની ધરપકડ કરી હતી.