પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમને પંચકુલાની વિશેષ CBI કોર્ટ આજે સજાનું એલાન કરશે. ગુરમીતને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સજા સંભળાવવામાં આવશે. આ કેસને લઇને 11 જાન્યુઆરીએ કોર્ટે રામ રહીમને દોષિત જાહેર કર્યો હતો.
રામ રહીમ સહિત 3 અન્ય આરોપીને હત્યા અને હત્યાનું ષડયંત્ર રચવા હેઠળ દોષિત જાહેર કર્યા હતા. રામ રહીમની સજાની આજે જાહેરાત થવાની છે ત્યારે પંચકુલા સહિત હરિયાણાના તમામ શહેરોમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
જ્યારે સિરસામાં પોલીસે ફ્લેગ માર્ચ પણ કાઢી હતી. આ ઉપરાંત 2 મહિલા પોલીસ કંપની સહિત કુલ 12 કંપનીઓને બહારથી બોલાવવામાં આવી છે. મહત્વનું છે કે રામ રહીમ હાલ રોહતકની સુનારિયા જેલમાં બંધ છે.
સીબીઆઈની ખાસ કોર્ટે ગત 11 જાન્યુઆરીએ ડેર સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ નિર્મલ સિંહ કુલદિપ સિંહ અને લાલકૃષ્ણને વિવિધ કલમો હેઠલ દોષિત જાહેર કર્યા હતા. નિયમોનુસાર જ્યારે દોષિતોને સજા સંભળાવવામાં આવે ત્યારે ન્યાયાધીશ અને દોષિતો આમને સામને હોય એ જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે 2002માં સિરસામાં પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા કરાઈ હતી અને તેમાં આરોપી તરીકે રામ રહીમ પર કેસ ચાલતો હતો અને કોર્ટે તેને દોષિત જાહેર કર્યો હતો. જ્યારે કોર્ટે સજાનું એલાન 17મીએ કરાશે તેમ જણાવ્યું હતું.