રાજકોટમાં અગાસી પરથી માતાને ધક્કો મારીને હત્યા કરનારા પ્રોફેસર પુત્રને આજીવન કેદની સજા ફટકારી છે. રાજકોટના નાણાવટી ચોક નજીક દર્શન એવેન્યુ એપાર્ટમેન્ટના ચોથા માળેથી પોતાની જનેતાને ધક્કો મારી હત્યા કરનારા પુત્રને કોર્ટે સજા ફટકારી છે. વર્ષ 2017ના સપ્ટેમ્બર મહિનામાં વહેલી સવારે નિવૃત શિક્ષિકા જયશ્રીબેન નથવાણીને અંદાજો પણ હશે નહીં કે, તેમનો જ પુત્ર તેને મોતનો મારગ દેખાડશે. જયશ્રીબેન નથવાણીને ચોથા માળેથી ધક્કો માર્યા બાદ સમગ્ર ઘટનાને અકસ્માતનું રૂપ આપવાની કોશિશ થઈ હતી. વર્ષ 2017માં પ્રોફેસર પુત્રએ પોલીસમાં નનામી અરજી આપી હતી કે, તેમની માતા અકસ્માત રીતે અગાસી પરથી નીચે પટકાયા છે.
આ નનામી અરજીના આધારે પોલીસે ગંભીરતાથી તપાસ કરી હતી. અને ડીસીપી કરણરાજ વાઘેલાએ તપાસ પોતાના હાથમાં લીધી હતી. ડીસીપી વાઘેલાએ સીસીટીવી સહિતની ઝીણવટપૂર્વક તપાસ કરતા સમગ્ર મામલો ખુલ્લો પડ્યો હતો. અને ઘટના અકસ્માતની નહીં પરંતુ હત્યાની છે. તેવું સાબિત થયું હતું. અને જે સીસીટીવી સામે આવ્યા તે જોઈને સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચ્યો હતો. એક પ્રોફેસર પુત્ર પોતાની જનેતાને આ પ્રકારે મોત આપી દેશે. તેવું તો કોણે વિચાર્યું હોય. જો કે, સીસીટીવીમાં સમગ્ર ઘટનાનો ખુલાસો થયા બાદ પ્રોફેસર પુત્રની ધરપકડ કરાઈ હતી.
પૂછપરછમાં આરોપી સંદિપ નથવાણીએ જણાવ્યું કે, મારી માતા સતત બીમાર અને પથારીવશ રહેતા હતા. જેની સેવા-ચાકરીના કારણે મારી અને મારે ઝઘડો પણ થતો હતો. કોલેજમાં પણ મારી પત્ની ફોન કરીને મને મારી માતા માથાકૂટ કરી રહ્યા હોવાની ફરિયાદો કરતી હતી. આ કારણે હું કંટાળી ગયો હતો. અંતે મેં મારી માતાને અગાસી પર ચાલવા માટે અને સૂર્યનારાયણને પાણી ચડાવવાના બહાને લઈ ગયો હતો. જ્યાં તેમને ધક્કો મારી દીધો હતો. ગુજરાતમાં ચકચારી બનેલા આ કેસમાં આરોપી સહિત 28 લોકોના નિવેદન લેવાયા હતા. જે બાદ આજે કોર્ટે આરોપી સંદિપ નથવાણીને સજા સંભળાવી છે.