રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો અચાનક વધારો શેરબજારને ભારે પડ્યો છે. 40 બેસિસ પોઈન્ટના વધારાની સાથે જ શેરબજારમાં કચ્ચરઘાણ વળી ગયો હતો. બીએસઈ સેન્સેક્સમાં 1419 પોઈન્ટ અથવા તો 2.49 ટકાનો કડાકો આવ્યો છે. 1419 પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ 55,557 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે એનએસઈ નીફ્ટીમાં 429 પોઈન્ટમાં ઘટાડો આવીને તેને 16,640 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.
એપોલો હોસ્પિટલના શેરમાં સૌથી મોટો ઘટાડો
મધ્ય અને નાના શેર નબળા પડ્યાં હતા નીફ્ટી મિડકેપમાં 1.78 ટકા અને સ્મોલ કેપમાં 1.88 ટકાનો ઘટાડો આવ્યો હતો. 15 સેક્ટરોના શેર લાલ નિશાન પર આવ્યાં હતા. કોઈ નિશ્ચિત શેરની વાત કરીરએ તો એપોલો હોસ્પિટલના શેરમાં સૌથી વધારે ઘટાડો નોંધાયો હતો. એપોલો હોસ્પિટલના શેરમાં 6.43 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે 4,027 પર ટ્રેડ કરી રહ્યો હતો. અદાણી પોર્ટ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ અને હિંદાલ્કાના શેરમાં પણ મોટો ઘટાડો આવ્યો હતો.
RBIએ આજે એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. સેન્ટ્રલ બેંકે રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી હતી. તેને ચારથી વધારીને 4.4 ટકા કરવામાં આવ્યો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આજે એક નિવેદનમાં આની જાહેરાત કરી હતી.તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ફુગાવો તેની ટોચ પર છે અને આરબીઆઈની નિર્ધારિત મર્યાદાથી ઉપર છે. એપ્રિલમાં આરબીઆઈએ મોનેટરી પોલિસીમાં પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. માર્ચમાં દેશમાં છૂટક મોંઘવારી 17 મહિનાની ટોચે પહોંચી હતી. ખાદ્યપદાર્થો અને ઉત્પાદિત માલસામાનના ભાવમાં તીવ્ર વધારોને કારણે થયો છે.
ફુગાવા વિશે શું કહ્યું આરબીઆઈ ગર્વનરે
આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠકમાં, જે નિશ્ચિત સમયપત્રક વિના યોજાઈ હતી, તમામ છ સભ્યોએ સર્વસંમતિથી નીતિ દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ, ઉદાર વલણ પણ જાળવી રાખવામાં આવ્યું છે. આરબીઆઈના ગવર્નરે જણાવ્યું હતું કે ફુગાવાનો દર છ ટકાની લક્ષ્યની ઉપલી મર્યાદાથી ઉપર રહ્યો છે. એપ્રિલ મહિનામાં પણ તે ઊંચો રહેવાની શક્યતા છે. માર્ચમાં છૂટક ફુગાવો 6.9 ટકા હતો. રિઝર્વ બેંકે ઓગસ્ટ 2018 પછી પહેલીવાર પોલિસી રેટમાં વધારો કર્યો છે.