વિશ્વભરમાં કોરોનાની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે અને શિયાળાની પણ ધીમે-ધીમે શરૂઆત થઇ રહી છે ત્યારે વડોદરા ગોત્રી કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી ડો શીતલ મિસ્ત્રીએ કોરોનાને લઇને એક મોટો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શિયાળામાં ઠંડી વધતા કોરોના વાયરસના સંક્રમણમાં પણ વધારો થશે.
ડો. મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ઠંડી વધતા કોરોના વાયરસ વાતાવરણમાં લાંબુ ટકશે અને તેની સામે રક્ષણ મેળવવા માટે શિયાળામાં કોરોનાથી બચવા સૂર્યનો તડકો લેવો જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સૂર્યના તડકાથી વિટામિન ડી મળે છે જે ઇમ્યુનિટી વધારશે, જે કોરોનાના સંક્રમણ સામે બાથ ભીડશે.
ઘરમાં હવા ઉજાસ રહે તે રીતે બારી બારણાં ખુલ્લાં રાખવા
વડોદરા ગોત્રી કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ઘરમાં હવા ઉજાસ રહે તે રીતે બારી બારણાં ખુલ્લાં રાખવા જોઇએ અને ઘરની અંદર અથવા બહાર પણ માસ્ક પહેરવું જરૂરી છે.
અમદાવાદ માટે ચિંતાજનક સમાચાર
કોરોના વાયરસને લઇને અમદાવાદ માટે ચિંતાજનક સમાચાર આવી રહ્યાં છે. શહેરમાં ફરી કોરોના થવાના સૌથી વધુ કેસ નોંધાયા છે. ફરી કોરોના થવાના દેશના સૌથી વધુ 9 કેસ અમદાવાદમાં નોંધાયાં છે. અમદાવાદમાં દોઢથી ત્રણ મહિનામાં 8 ડોકટરોને બે વાર કોરોના થયો છે. પહેલી વખતે જ્યારે કોરોના થયો ત્યારે 9 કેસમાંથી 3 કેસ લક્ષણ વગરના હતા. જ્યારે બીજી વખત કોરોના થયો ત્યારે પણ કોઇ લક્ષણ નહોતા જોવા મળ્યાં. આમ એન્ટિબોડી ન બનવાના કારણે કોરોના ફરી થવાનો ડર જોવા મળી રહ્યો છે. ડોકટરોએ ગ્લોબ્ઝ, માસ્ક પહેર્યાં હોવા છતાં ફરી કોરોના થયો.
ગુજરાતમાં રવિવારે નોંધાયા છે 1020 કેસ
ગુજરાતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 1 હજાર 20 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 819 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયાં છે ત્યારે કોરોના સામેનો રિકવરી રેટ 91.09 ટકા નોંધાયો છે. ગુજરાતમાં કોરોનાથી એક દિવસમાં 7 લોકોના મૃત્યું થયા હોવાનું સામે આવ્યું છે.
3 મહાનગરોમાં સૌથી વધુ કેસ
રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં આજે સુરતમાં 194, અમદાવાદમાં 185, વડોદરામાં 127 અને રાજકોટમાં 113 નવા કોરોનાના કેસ નોંધાયા છે.