પ્રમોટર પ્રણવ રોય અને રાધિકાર રોયના રાજીનામાં બાદ હવે સિનિયર પત્રકાર રવિશ કુમારે NDTV ન્યૂઝ ચેનલમાંથી રાજીનામું આપી દીધું છે.
સિનિયર પત્રકાર રવિશ કુમારની NDTVને અલવિદા
આજે આપ્યું રાજીનામું
ગૌતમ અદાણીએ ખરીદી છે ચેનલ
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની NDTVમાં એન્ટ્રી થતા ધડાધડ મોટા રાજીનામાં પડવા લાગ્યાં છે. પહેલા પ્રમોટર્સ પ્રણવ રોય અને રાધિકા રોયના રાજીનામા બાદ હવે સિનિયર પત્રકાર રવિશ કુમારે પણ એનડીટીવીને ટાટા બાય બાય કહી દીધું છે. રવિશ કુમારે ઘણા દિવસોથી રાજીનામું આપ્યું હોવાના સમાચાર હતા. જો કે બુધવારે તેમણે સત્તાવાર રીતે એક મેઇલ મોકલીને રાજીનામું આપી દીધું હતું. રવીશની વિદાયની જાહેરાત કરતાં ચેનલે એક આંતરિક મેઇલમાં જણાવ્યું હતું કે, તેમનું રાજીનામું તાત્કાલિક સ્વીકારી લેવાયું છે એટલે હવે તેઓ એનડીટીવીના કોઈ કાર્યક્રમમાં નહીં દેખાય.
એનડીટીવીના ઘણા શો હોસ્ટ કર્યાં
એનડીટીવી (હિન્દી)ના જાણીતા ચહેરા રવીશ કુમારે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક ફંક્શન હોસ્ટ કર્યા હતા, જેમાં હમ લોગ, રવીશ કી રિપોર્ટ, દેશ કી બાત અને પ્રાઇમ ટાઈમનો સમાવેશ થાય છે. રવીશ કુમારને બે વાર પત્રકારત્વમાં યોગદાન બદલ રામનાથ ગોએન્કા એક્સેલન્સ એવોર્ડ અને 2019માં રેમન મેગ્સેસે એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
રવિશ તેમની નવી ઈનિંગ્સમાં ખૂબ સફળ થશે- ગ્રુપ પ્રેસિડેન્ટ
રવીશના રાજીનામા બાદ એનડીટીવીના ગ્રુપ પ્રેસિડેન્ટ સુપર્ણા સિંહે કહ્યું કે, કેટલાક જ પત્રકારો એવા છે જે લોકોને રવીશ પ્રભાવિત કરે છે. રવીશ દાયકાઓથી એનડીટીવીનો અભિન્ન ભાગ છે. તેમનું યોગદાન અપાર રહ્યું છે, અને અમે જાણીએ છીએ કે તેઓ તેમની નવી ઇનિંગ્સમાં પણ ખૂબ જ સફળ થશે.
પ્રણવ રોયના રાજીનામાના એક દિવસ બાદ આપ્યું રાજીનામું
રવિશ કુમારનું રાજીનામું એનડીટીવીના એક્ઝિક્યુટિવ કો-ચેરમેન પ્રણવ રાયે ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યાના એક દિવસ બાદ આવ્યું છે. એનડીટીવીના સ્થાપક પ્રણય રોય અને તેમનાં પત્ની રાધિકા રોયે પ્રમોટર ગ્રૂપના યુનિટ આરઆરપીઆર હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું હતું.
પોતાની લોકપ્રિય યુટ્યુબ ચેનલ ચલાવશે
એનડીટીવી છોડ્યાં બાદ રવિશ કુમાર તેમની લોકપ્રિય યૂટ્યુબ ચેનલ ચલાવશે. તેઓ ખૂબ મોટું ફેન ફોલોઈંગ ધરાવે છે અને તેઓ જમીની સ્તરે લોકો સાથે જોડાયેલા રહ્યાં છે અને ખૂબ લોકપ્રિય છે એટલે તેમને આશા છે કે તેમની આ ચેનલ સારી રીતે ચાલશે. આ પહેલા પણ તેઓ કહી ચૂક્યા છે કે પત્રકારને કોઈ સ્ટુડિયાનો મોહ હોતો નથી.
અદાણીના હાથે કેવી રીતે વેચાઈ એનડીટીવી
પ્રણય અને રાધિકા રોય 2009માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી કંપની વિશ્વપ્રધાન કમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ (વીસીપીએલ) પાસેથી 400 કરોડ રૂપિયાની વ્યાજ મુક્ત લોન લીધી હતી. લોનના બદલામાં, વીસીપીએલને વોરંટને આરઆરપીઆર હોલ્ડિંગ્સના હિસ્સામાં રૂપાંતરિત કરવાનો અધિકાર મળ્યો હતો. એનડીટીવીમાં આરઆરપીઆર હોલ્ડિંગ્સનો 29.2 ટકા હિસ્સો છે. અદાણી ગ્રુપે ઓગસ્ટમાં વીસીપીએલ ખરીદી હતી અને વોરંટને શેરમાં રૂપાંતરિત કરવાની વાત કરી હતી. એનડીટીવીના પ્રમોટરોએ શરૂઆતમાં આ પગલાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેમની સાથે તેની વાટાઘાટો કરવામાં આવી નથી. પરંતુ આ અઠવાડિયાની શરૂઆતમાં તેમણે તેને મંજૂરી આપી હતી. આનાથી વીસીપીએલને આરઆરપીઆર હોલ્ડિંગમાં 99.5 ટકા હિસ્સો મળ્યો.આરઆરપીઆર (રાધિકા રોય પ્રણય રોય હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ) હજી સુધી પ્રમોટર એન્ટિટી છે. ન્યૂઝ ચેનલમાં તેની 29.18 ટકા ભાગીદારી છે. પ્રણય રોય એનડીટીવીમાં 15.94 ટકા અને રાધિકા રોય 16.32 ટકા (કુલ 32.26 ટકા) હિસ્સો ધરાવે છે. વીસીપીએલના અધિગ્રહણ બાદ અદાણી ગ્રુપ દ્વારા એનડીટીવીમાં 26 ટકા હિસ્સો ખરીદવા માટે ઓપન ઓફર લાવવામાં આવી છે. આ ઓફર 22 નવેમ્બરના રોજ ખુલ્લી છે અને 5ડિસેમ્બરે બંધ થશે. અત્યાર સુધી આ ઓફરને કુલ સાઇઝ પર 53.27 લાખ એટલે કે એક તૃતિયાંશ શેરની ઓફર મળી ચૂકી છે. જોકે, ઓપન ઓફરમાં શેરની કિંમત એનડીટીવીના શેરની હાલની કિંમત કરતા ઘણી ઓછી છે.