અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી વૃદ્ધ દંપત્તિની કરી હત્યા
ગળુ કાપીને વૃદ્ધ દંપત્તિની કરાઇ હત્યા
હેબતપુર ચાર રસ્તા પાસે શાંતિ પેલેસ બંગલોમાં વૃદ્ધ દંપત્તિ અશોક પટેલ અને તેમના પત્ની જ્યોત્સનાબેન પટેલની ગળુ કાપીને હત્યા કરવામાં આવી છે. આ વૃદ્ધ દંપત્તિ છેલ્લા ઘણા સમયથી આ સોસાયટીમાં રહે છે. જ્યારે તેમનો પુત્ર હેતાર્થ પટેલ તેની પત્ની અને બાળકો સાથે દુબઇમાં રહે છે અને દીકરી મેઘા નારણપુરામાં તેના સાસરીમાં રહે છે.
ઘરમાં જ કરાઇ ઘાતકી હત્યા
ઉલ્લેખનીય છે કે, આજે વહેલી સવારે અશોકભાઇ અને જ્યોત્સનાબેનની તેમના ઘરમાં ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. સોસાયટીનો સિક્યોરિટી ગાર્ડ જ્યારે આવ્યો ત્યારે આ દંપત્તિના ઘરમાંથી અજાણ્યા ચાર શખ્સોને ભાગતા જોયા હતા.
વૃદ્ધ દંપતીની હત્યા કરીને ચોર નાસી છૂટ્યા
વોચમેન તેમને પકડે તે પહેલા જ તેઓ નાસી છૂટ્યા હતા. જેથી લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. જે બાદ તેને પડોસીઓને જાણ કરી હતી. જ્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ શખ્સોએ વૃદ્ધ દંપતીનું ગળું કાપીને હત્યા કરી છે અને ગાડી પણ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે હાથ ધરી તપાસ
હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. તો બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
જુઓ ચોકીદારે શું કહ્યું....
ગુજરાતમાં વૃદ્ધાની હત્યાના વણઉકલ્યા કેસ
મેના બહેનની હત્યા પરથી હજી પરદો ઊંચકાયો નથી
વેજલપુર ગામમાં એકલવાયું જીવન જીવતા 80 વર્ષના મેના બહેર ઠાકોરની થોડા દિવસ પહેલા લોહીથી લથપથ હાલતમાં લાશ તેમના ઘરમાંથી મળી આવી હતી. મેના બહેન 2 દિવસથી ઘરની બહાર દેખાતા નહોંતા અને ઘરે પણ તાળુ લગાવેલું હતું. જેથી તેમના ભાડવાતને શંકા જતાં તેમના દીકરાને જાણ કરી. જો કે, ત્યારબાદ તેમનો દીકરો માતાને શોધવા ઘરે આવતા ઘરમાંથી લાશ મળી આવી હતી.
નવરંગપુરામાં નિર્મલાબહેનની લૂંટના ઈરાદે હત્યા
નવરંગપુરા વિસ્તારમાં આવેલ બેંક ઓફ ઇન્ડિયા સોસાયટીમાં એકલા રહેતા નિર્મલા બહેન નામના વૃદ્ધાની 18 સપ્ટેમ્બર 2016ના રોજ હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટ કરીને આરોપીઓ ચાલ્યા ગયા. જો કે, આજ દિવસ સુધી તેમના મોત પાછળ જવાબદાર રહેલા લોકોને પોલીસ શોધી શકી નથી.
સરખેજમાં ચંદ્રિકા બહેનની લૂંટના ઇરાદે હત્યા
13 નવેમ્બર 2016ના રોજ સરખેજ ગામમાં આવેલ બ્રમ્હની પોળમાં એકલવાયું જીવન જીવતા 62 વર્ષીય ચંદ્રિકાબહેન નાયકની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને 4 વર્ષનો સમય વીતી ગયો છતાં ભેદ ઉકેલાઇ શક્યો નથી.
ભાડું લેવા ગયેલા શાંતાબહેન વેગડાની હત્યા
શહેરના અમરાઇવાડી વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં બંધ મકાનમાંથી 1 ઓગસ્ટ 2018ના રોજ શાંતા બહેન વેગડાની લાશ મળી આવી હતી. શાંતા બહેન ભાડું લેવા માટે ગયા હતા. જ્યાં તેમની હત્યા કરવામાં આવી હતી.