સિનિયર સિટીઝન કન્સેશન માટે ઘણી ચર્ચા વિચારણાનો થતી રહી છે ત્યારે હવે મંત્રાલયના મળેલ સમાચાર મુજબ ફરીથી વરિષ્ઠ નાગરીકોને મળશે રેલ્વેની ટીકીટમાં રાહત.
વરિષ્ઠ નાગરિકોને હવે મળી શકે છે રેલ્વેમાં રાહત
સામાન્ય અને સ્લીપર ક્લાસમાં જ મળશે રાહત
ઉમરમાં પણ વધારો કયો હવે 70 વર્ષથી વધુને મળશે રાહત
વરિષ્ઠ નાગરિકોને અપાતી સિનિયર સિટિઝન કન્સેશનને લઈને અનેક ક્ષેત્રોમાંથી ટીકાઓનો સામનો કરી રહેલી રેલવે આ છૂટછાટો ફરી શરૂ કરવા અંગે વિચારણા કરી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રેલવે ટૂંક સમયમાં જ સિનિયર સિટીઝનને ફરીથી ભાડામાં છૂટ આપી શકે છે. જો કે રેલવે પણ છૂટની શરતોમાં કેટલાક ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હવે રેલવે માત્ર સામાન્ય અને સ્લીપર ક્લાસ માટે ભાડામાં છૂટ આપશે.
અમે વિચારણા કરી રહ્યા છીએ
"અમે સમજીએ છીએ કે આ છૂટછાટો વૃદ્ધોને મદદ કરે છે અને અમે ક્યારેય કહ્યું નથી કે અમે તેને સંપૂર્ણપણે દૂર કરીશું. અમે તેની સમીક્ષા કરી રહ્યા છીએ અને અમે તેના પર નિર્ણય લઈશું. રેલવે બોર્ડ સિનિયર સિટીઝન કન્સેશન માટે ઉંમરના માપદંડમાં ફેરફાર કરવા અને તેને માત્ર 70 વર્ષથી વધુ ઉંમરના લોકો સુધી જ લંબાવવાની વિચારણા કરી રહ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે, 2020 માં કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન પાછા ખેંચાતા પહેલા, વરિષ્ઠ નાગરિકની છૂટ 58 વર્ષ અને તેથી વધુ વયની મહિલાઓ અને 60 વર્ષ અને તેથી વધુ વયના પુરુષોને આપવામાં આવી હતી. તે સમયે મહિલાઓ 50 ટકા છૂટ માટે પાત્ર હતી. આ સાથે જ પુરુષો અને ટ્રાન્સજેન્ડર્સ તમામ કેટેગરીમાં 40 ટકા ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકતા હતા.
બીજા બદલાવો પણ કરવામાં આવશે
વયમર્યાદા વધવાની સાથે જ રેલવે બીજી જોગવાઈમાં ફેરફાર કરવા વિચારી રહી છે. રેલવે આ છૂટછાટોને માત્ર નોન-એસી મુસાફરી સુધી મર્યાદિત કરવાની યોજના બનાવી રહી છે. રેલવેની દલીલ છે કે જો આપણે તેને સ્લીપર અને જનરલ કેટેગરી સુધી સીમિત રાખીએ તો પણ 70 ટકા મુસાફરોને આવરી લઈએ છીએ. રેલવેએ કહ્યું કે તે આવા કેટલાક વિકલ્પો પર વિચાર કરી રહી છે. આ સાથે જ રેલવે તમામ ટ્રેનોમાં 'પ્રીમિયમ તત્કાલ' યોજના શરૂ કરવા પર વિચાર કરી રહી છે. આનાથી વધુ આવક મેળવવામાં મદદ મળશે, જે છૂટછાટોનો ભાર દૂર કરી શકે છે. આ યોજના હાલમાં લગભગ 80 ટ્રેનોમાં અમલમાં છે.
80 ટકાની છૂટ ખાલી સિનીયર સિટીઝન માટે
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દાયકામાં રેલવેની રાહતો ખૂબ જ ચર્ચાનો વિષય બની છે. આ અંગે અનેક સમિતિઓએ છૂટછાટો પાછી ખેંચવાની ભલામણ કરી છે. તેનું પરિણામ એ આવ્યું કે જુલાઈ 2016માં રેલવેએ વૃદ્ધો માટે આ છૂટને વૈકલ્પિક બનાવી દીધી. વિવિધ પ્રકારના મુસાફરોને 50 થી વધુ પ્રકારની રાહતો આપવામાં આવતી હોવાને કારણે રેલવે પર દર વર્ષે બે હજાર કરોડ રૂપિયાનો જંગી બોજ પડે છે. વરિષ્ઠ નાગરિકની છૂટ તેના દ્વારા આપવામાં આવતી કુલ છૂટના લગભગ 80 ટકા છે.
વધુ છૂટ આપી ન શકાય
અગાઉ રેલવેએ લોકોને તેમના સિનિયર સિટીઝન કન્સેશન છોડવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી નહોતી. ગયા અઠવાડિયે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંસદમાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે છૂટછાટો આપવાનો ખર્ચ રેલવેને ભારે પડે છે. આથી સિનિયર સિટીઝન સહિત તમામ કેટેગરીના મુસાફરો માટે રાહતનો વ્યાપ વધારવો હિતાવહ નથી.