જેતપુરના સરઘારપુર ગામના ખેડૂતોએ ગામનું તળાવ તૂટી જતા પાણી વહી જતું હતું. ખેડૂતોએ જાતે જ તે તળાવનું સમારકામ કરી વહી જતા પાણીને બચાવ્યું,એટલું જ નહીં સ્વખર્ચે આ તળાવનો પાળો રિપેર કર્યો.
જાત મહેનત જિંદાબાદ
પાળો તૂટી જતા વહી જતું હતું પાણી
રજૂઆત છતાં પણ તંત્રએ ન સાંભળ્યું
રોજ-રોજ બીજા પાસે અપેક્ષા રાખીએ તો સફળતા ક્યારેય ન મળે. પરંતુ ખુદ મહેનત કરીએ તો સફળતા અચૂક મળે છે.આવા જ એક કાર્યને અંજામ આપતા ગામ વિશે વાત કરવી છે.. જે ગામના લોકોની સરકારે રજૂઆતો ન સાંભળી તો અંતે પોતાના ખર્ચે ગામના તડાવમાંથી વહી જતા પાણીને રોકવા પાળ બાંધી.વારંવાર રજૂઆતો છતાં જ્યારે કોઈ પરિણામ ના આવે ત્યારે સ્વબળે કરેલું કામ યશ અપાવે અને એક ઉદાહરણ રૂપ ઘટનાને જન્મ આપે છે.
ખેડૂતોની જાત-મહેનત
કહેવાય છે ને કે જાત મહેનત જિંદાબાદ.બીજા પર અપેક્ષા રાખવા કરતા સ્વબળે કામ કરવામાં આવે તો તેનું પરિણામ કંઈક અલગ જ હોય છે. આવું જ કાંઈક જેતપુરના સરઘારપુર ગામના ખેડૂતોએ કરી બતાવ્યું છે.સારો વરસાદ થતાં ગામનું તળાવ તૂટી ગયું હતું. જેના કારણે તળાવમાંથી પાણી વહી જતું હતું. ગામ લોકો દ્વારા સરકારમાં અને તંત્રમાં અનેક રજૂઆતો કરાઈ, પરંતુ કોઈએ ન સાંભળતા હવે ખેડૂતોએ જાતે જ તે તળાવનું સમારકામ કરી વહી જતા પાણીને બચાવ્યું,એટલું જ નહીં ગ્રામજનો અને ખેડૂતોએ પોતાના જ પૈસાથી આ તળાવનો તુટેલો પાળો રિપેર કર્યો.
સ્વખર્ચે કર્યો પાળાનો વિકાસ
મહત્વનું છે કે, સરઘારપુરમાં આ તળાવને સરકાર દ્વારા જ બનાવવામાં આવ્યું હતું. પરંતુ ભારે વરસાદના કારણે તળાવનો પાળો તૂટી ગયો હતો. જેના કારણે તળાવમાંથી પાણી વહી જતું હતું.સરકારે રજૂઆતો ન સાંભળી તો ખેડૂતો જ પોતાના સાધનો સાથે મેદાનમાં આવ્યા અને તળાવના 50 ટકા પાણીને વહીજતું બચાવી લીધું. જોકે ખેડૂતોની આ મહેનતનું ફળ પણ તેમને આખું વર્ષ મળશે.કારણ કે, તળાવના કારણે ભૂતળ ઉંચા આવશે અને રવિ સિઝનમાં તળાવની આસપાસની જમીનને પિયત માટે પુરતું પાણી પણ મળી રહેશે.
જાત-મહેનત બની એક મિસાલ
ખેડૂતોની આ મહેનત અને કામ સરાહનીય છે.. પરંતુ અહીં એક બોધપાઠ એ પણ લેવાની જરૂર છે કે, દર વખતે સરકાર પર ભરોસો રાખીને ન બેસવું જોઈએ. કારણ કે, કોઈક કામ આપણે પણ કરી શકીએ..જો આ ગામના ખેડૂતો થોડા વહેલા જાગ્યા હોત તો 50 ટકા પાણી તળાવમાંથી ન વહીગયું હોત.. આશા રાખીએ કે, દરેક લોકો આવી કોઈપણ ઘટનામાં પોતાની જવાબદારી સમજે અને ખુદના દમ પર કાંઈક કરવાની તાકાત રાખે..