રાજ્ય કોરોનાની ઝપેટમાં સપડાયું છે. દરરોજ નોંધાઇ રહેલા કોરોનાના આંકડા ચિંતાજનક છે ત્યારે કોરોનાની ચેઈન તોડવા માટે અમરેલીની વડિયા ગ્રામ પંચાયતે મહત્વનો નિર્ણય લીધો છે.
મળતી જાણકારી પ્રમાણે, કોરોના સંક્રમણમાં વધારો થતા અમરેલીના વડિયા ગ્રામ પંચાયતે ગામમાં સતત 8 દિવસનું લૉકડાઉન રાખવાનો નિર્ણય કર્યો છે. જેમાં ગ્રામજનોને સૂચના આપવામાં આવી છે કે, આગામી શનિવાર સુધીમાં જે કાઇ વસ્તુની ખરીદી કરવી હોય તે કરી લે.
સતત 8 દિવસ સુધી ગામમાં લૉકડાઉનની જાહેરાત
શનિવાર બાદ સમગ્ર વડિયા ગામ સતત 8 દિવસ સુધી લૉકડાઉન પાળશે. તો ગ્રામપંચાયતે એવું પણ જણાવ્યું હતું કે, લૉકડાઉનનું પાલન નહીં કરનાર વ્યક્તિ સામે કડક પગલા લેવામાં આવશે અને 1 હજાર રૂપિયાનો દંડ વસૂલાશે.
તાલાલા ગીરમાં 5 દિવસ સુધી સ્વયંભૂ બંધનો નિર્ણય
ગીર સોમનાથ જીલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણના લીધે તાલાલા ગીર ખાતે પણ નગરપાલિકાનાં હોલમાં વેપારી એસોસીએશનની મહત્વની મિટિંગ યોજાઇ હતી. જેમાં આજથી પાંચ દિવસ સુધી સ્વયંભૂ તમામ લોકોએ બપોરે 1 વાગ્યા બાદ પોતાના કામધંધા બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. આજથી જ સમગ્ર તાલાલા શહેરમાં શાકમાર્કેટના વેપારીઓ પાનની દુકાનો સહીત બજારો પણ બંધ પાડી સુમસામ જોવા મળી હતી. ગીર સોમનાથ જીલ્લાનું તાલાલા ગીર આજથી પાંચ દિવસ સજ્જડ બંધ રહેશે. બપોરે 1 વાગ્યા બાદ સમગ્ર શહેર સ્વંયભૂ બંધ જોવા મળ્યુ હતું.
તાપીના સોનગઢમાં સ્વયંભૂ લોકડાઉન
તાપી જિલ્લામાં સોનગઢમાં કાળથી સ્વૈચ્છિક બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સોનગઢની નપા તથા વેપારી મંડળ દ્વારા બેઠક બાદ 15થી 21 એપ્રિલ સુધી સ્વયંભૂ લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આખા સોનગઢમાં માત્ર શાકભાજી અને ફ્રૂટની દુકાનો તથા દૂધ તથા આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનોને સવારે 7થી 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આણંદના ધર્મજમાં આજથી એક સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન
આણંદના ધર્મજમાં આજથી એક સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ધર્મજ ગામમાં કરોનાના કેસો વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ધર્મજ ગામમાં એક સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. ગામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરવામાં આવી છે.
જામજોધપૂર-મહુવામાં લેવાયો નિર્ણય
જામનગરના જામજોધપુરમાં ચાર દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. નપા અને સમાજિક આગેવાનોએ વેપારીઓ સાથે મળીને મેડિકલ અને આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ભાવનગરના મહુવામાં પણ પાંચ દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન કરવાનો ફેસલો કરવામાં આવ્યો છે.
હિંમતનગર તાલુકાના સાત ગામોનું સ્વયંભૂ લોકડાઉન
સાબરકાંઠામાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળતા હિંમતનગર તાલુકાના સાત ગામોમાં આગામી 10 દિવસ સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યું છે. ગામમાં આવનજાવન પર પણ પ્રતિબંધ રહેશે તથા સવારે 6થી બપોરે 1 વાગ્યા સુધી જ દુકાનો રહેશે ખુલ્લી.
દ્વારકાના બજાણા ગામે સ્વૈચ્છિક લોકડાઉન
દ્વારકા જિલ્લાના બજાણા ગામે પણ સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે જેમાં 23 તારીખ સુધી સવારે 6 થી 9, સાંજે 6 થી 9 સુધી જ દુકાનો ખુલ્લી રાખવામાં આવશે.