ચીનની વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં લાવવામાં આવેલ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે. ચીનના શિનજિયાંગમાં લઘુમતી ઉઇગુરોના માનવાધિકારના ઉલ્લંઘનની ચર્ચા કરવા માટે આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ભારતે મતદાનમાં ભાગ નથી લીધો, જ્યારે 17 સભ્યોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું. ઘણા મુસ્લિમ દેશોએ ચીનના સમર્થનમાં મતદાન કર્યું છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ચીનમાં માનવાધિકાર ઉલ્લંઘનને લઈને રજૂ કરાયેલો પ્રસ્તાવ ફગાવાયો
ભારતે મતદાનમાં ન લીધો ભાગ, મુસ્લિમ દેશોએ આપ્યો ચીનનો સાથ
17 દેશોએ પ્રસ્તાવની તરફેણમાં અને 19 દેશોએ ચીનના પક્ષમાં કર્યું મતદાન
ભારતે ચીનના અશાંત શિનજિયાંગ પ્રાંતમાં લઘુમતી મુસ્લિમોના માનવાધિકારની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (UNHRC)માં એક ડ્રાફ્ટ પ્રસ્તાવ પર મતદાનમાં ભાગ લીધો ન હતો. મોટી વાત એ છે કે, વિશ્વભરમાં મુસ્લિમોના નેતા બનવાનો દાવો કરતા ઈસ્લામિક દેશોએ આ ડ્રાફ્ટને લઈને ચીનની તરફેણમાં મતદાન કર્યું હતું. આમાં ઇસ્લામોફોબિયાના નારા લગાવનાર પાકિસ્તાન, વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમોની વસ્તી ધરાવતો દેશ ઈન્ડોનેશિયા, કતાર, સંયુક્ત આરબ અમીરાત, સુદાન, ઉઝબેકિસ્તાન અને કઝાકિસ્તાન સામેલ છે. મોટી વાત એ છે કે આ પ્રસ્તાવના સહ-પ્રાયોજકોમાં તુર્કી સામેલ હતું.
17 સભ્યોએ તરફેણમાં અને 19 સભ્યોએ વિરોધમાં કર્યું મતદાન
47 સભ્યોવાળા યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલમાં ચીન વિરુદ્ધ લાવવામાં આવેલા ડ્રાફ્ટ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો. 17 સભ્યોએ આ પ્રસ્તાવની તરફેણમાં અને ચીન સહિત 19 દેશોએ ડ્રાફ્ટ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. ભારત, બ્રાઝિલ, મેક્સિકો અને યુક્રેન સહિત 11 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. ડ્રાફ્ટ પ્રસ્તાવનો વિષય હતો ''ચીનના જિનજિયાંગ ઉઇગુર સ્વાયત્ત ક્ષેત્રમાં માનવઅધિકારોની સ્થિતિ પર ચર્ચાઓ." ડ્રાફ્ટ પ્રસ્તાવ કેનેડા, ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન, બ્રિટન અને અમેરિકાના એક કોર સમૂહ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, અને તુર્કી સહિત અનેક દેશોએ આને સહ-પ્રાયોજિત કર્યું હતું.
ચીન પર લાગી રહ્યા છે માનવાધિકારના ઉલ્લંઘનના આરોપ
વિશ્વભરના માનવાધિકાર જૂથો વર્ષોથી સંસાધનથી સમૃદ્ધ ઉત્તર-પશ્ચિમ ચીની પ્રાંતમાં માનવ અધિકારોના ઉલ્લંઘનની ઘટનાઓને લઈને ખતરાની ઘંટડીઓ વગાડી રહ્યા છે. તેઓનો આરોપ છે કે, ચીને 10 લાખથી વધુ ઉઈગુરોને તેમની ઈચ્છાની વિરુદ્ધ ડિટેન્શન સેન્ટરોમાં કસ્ટડીમાં રાખ્યા છે. હ્યુમન રાઈટ્સ વૉચમાં ચીનના ડાયરેક્ટર સોફી રિચાર્ડસને એક નિવેદનમાં કહ્યું કે, તેમના ઈતિહાસમાં પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્રની ટોચની માનવાધિકાર સંસ્થાએ ચીનના શિનજિયાંગ ક્ષેત્રમાં માનવાધિકારની સ્થિતિ પર ચર્ચા કરવા માટેના પ્રસ્તાવ પર વિચાર કર્યો.
ડિટેન્શન સેન્ટરોને વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર કહે છે ચીન
ચીનમાં ઉઇગુર અને અન્ય મુસ્લિમ બહુમતી સમુદાયોની સામે માનવાધિકારના ઉલ્લંઘનના ગંભીર આરોપોને 2017ના અંતથી યુએન હ્યુમન રાઇટ્સ ઓફિસ અને યુએન માનવાધિકાર તંત્રના ધ્યાનમાં લાવવામાં આવી રહ્યા છે. જો કે, ચીની નેતાઓ આનું ખંડન કરે છે. તેઓ આ ડિટેન્શન સેન્ટરોને વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો તરીકે વર્ણવે છે. ચીનની સરકારના એક રિપોર્ટ અનુસાર, દક્ષિણ શિનજિયાંગમાં 2014થી 2019 સુધી 415,000 ઉઇગુર મુસ્લિમોને કેદ કરીને રાખવામાં આવ્યા હતા. આમાંના ઘણા લોકો એવા પણ છે જેઓને એકથી વધુ વખત કેદ કરવામાં આવ્યા છે. કુલ મળીને હાલમાં 80 મિલિયનથી વધુ લોકો ચીનમાં ડિટેન્શન કેમ્પમાં કેદ છે.