કેજરીવાલે કહ્યું મુખ્યમંત્રીના ઉમેદવાર ઇસુદાન ગઢવી, પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયા અને અલ્પેશ કથીરિયા ભારે માર્જિનથી જીતી રહ્યા છે
સુરતમાં અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન
ગુજરાતમાં 92થી વધારે સીટ આપ જીતશે: કેજરીવાલ
ઇસુદાન ગઢવી-ગોપાલ ઇટાલીયા ભારે માર્જિનથી જીતશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો મતદારોને રીઝવવા કવાયતમાં લાગ્યા છે. તેવામાં આજે સુરતમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જ્યાં અરવિંદ કેજરીવાલ કહ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. ગુજરાતમાં આપને 92થી વધારે સીટ મળશે તેવો દાવો કેજરીવાલે કર્યો છે. આ સાથે મુખ્યમંત્રીના ઉમેદવાર ઇસુદાન ગઢવી, પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયા અને અલ્પેશ કથીરિયા ભારે માર્જિનથી જીતી રહ્યા છે તેવું પણ જણાવ્યું હતું. આ અગાઉ પણ ગઇકાલે તેમણે કહ્યું હતું કે, મારી ભવિષ્યવાણી ખોટી નથી પડતી. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને છે.
ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા માહોલમાં ગરમાવો દેખાઇ રહ્યો છે. અરવિંદ કેજરીવાલે આજે ફરી પ્રેસ કોન્ફરન્સ કરી છે. કેજરીવાલે આજે જણાવ્યું હતું કે, સુરતમાંથી ગોપાલ ઇટાલિયા મોટા માર્જિનથી જીતશે. મુખ્યમંત્રીના ઉમેદવાર ઇસુદાન ગઢવી અને અલ્પેશ કથીરિયા પણ ભારે માર્જિનથી જીતી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલે પત્રકારોને સંબોધતા જણાવ્યુ કે, ગઇકાલે અમારી ટેક્સટાઇલ વેપારીઓ સાથે બેઠક થઇ હતી. આજે ડાયમંડનાં વેપારીઓ સાથે મિટિંગ છે. તેમણે કહ્યું કે, આ ચૂંટણી બદલાવની ચૂંટણી છે. તમામ વેપારીઓ AAPને વોટ આપવાના છે. તેઓ પોતાનું નામ જાહેર નથી કરી શકતા. નહીં તો તેમનો ધંધો બંધ થઇ જાય. આ સાથે તેમણે વધુમાં જણાવ્યુ કે, તમારી પાસે આ મોટી તક છે. આ આખી વ્યવસ્થાને ઉખાડીને ફેંકી દો. આમ આદમી પાર્ટીને વોટ આપો અને ડર અને સન્માન સાથે તમે કામ કરી શકો છો.