ગુજરાત સહિત આખા દેશમાં આતંકી હુમલાને લઈને સુરક્ષા એજન્સીઓને અલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે ત્યારે રાજ્યના મંદિરોની સુરક્ષામાં વધારો કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં આતંકી હુમલાને લઈને અલર્ટ
દ્વારકા-સોમનાથની સુરક્ષામાં વધારો
રેલવે સ્ટેશન,બસ સ્ટેશન સહિતની જગ્યાઑ પર સઘન ચેકિંગ
ભારતમાં હાલમાં એક ટિપ્પણી વિવાદના કારણે અનેક શહેરોમાં પરિસ્થિતિ કાબૂ બહાર છે. અનેક જગ્યાઑ પર હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે દેશની સુરક્ષા એજન્સીઓને બે મોરચે કામ કરવાનું આવ્યું છે, એક તરફ દેશની આંતરિક સુરક્ષા અને બીજી તરફ આતંકવાદી હુમલાથી દેશને બચાવવો.
દ્વારકા-સોમનાથની સુરક્ષા વધારવામાં આવી
ગુજરાત સહિત દિલ્હી અને મુંબઈ આતંકવાદીઓના નિશાના પર છે ત્યારે રાજ્યની સુરક્ષા એજન્સીઓ ઍલર્ટ થઈ ગઈ છે, સૌરાષ્ટ્રના બે મુખ્ય મંદિર દ્વારકા અને સોમનાથની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા અને પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવના મંદિર સોમનાથમાં બારે માસ ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળે છે એવામાં આતંકવાદી હુમલાને લઈને અહીં સૌથી વધારે ખતરો છે.
જાહેર સ્થળો પર સઘન ચેકિંગ
મંદિરની સુરક્ષાની સાથે સાથે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર પણ ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય શામળાજી મંદિરની સુરક્ષાને પણ વધારવાના આદેશ આપવામાં આવ્યા છે, મંદિર દ્વારા પ્રાઇવેટ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
આગામી સમયમાં અમદાવાદમાં યોજાશે ભવ્ય રથયાત્રા
આગામી સમયમાં અમદાવાદમાં લાખોની ભીડ વચ્ચે રથયાત્રાનું આયોજન પણ કરવામાં આવવાનું છે ત્યારે પોલીસે તેની સુરક્ષા માટે પણ કમર કસી લીધી છે અને અત્યાધુનિક ડિવાઇસની મદદ તથા હજારો જવાનોની ઘેરાબંધી સાથે રથયાત્રાની સુરક્ષા કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.