રામની જન્મજયંતી એટલે કે રામનવમીનું પર્વ નજીક આવી રહ્યું છે. ત્યારે રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણનો રસ્તો પણ હવે સાફ થઇ ગયો છે. રામનવમીને લઇને અયોધ્યામાં ભારે ઉત્સાહનો માહોલ છે. આ સાથે જ સુરક્ષાની પણ ખાસ તૈયારીઓ કરી લેવાઈ છે. અહીં 70 એકરમાં 12 ફૂટ ઉંચી પાકી દિવાલ બનાવાશે અને સાથે નિર્માણ કામની સાથે પવિત્રતાને લઈને પણ ખાસ વ્યવસ્થાની રણનીતી તૈયાર કરી દેવામાં આવી છે.
રામ મંદિરને લઈને કરાઈ ખાસ વ્યવસ્થા
મંદિર નિર્માણમાં રાખવામાં આવે છે આ વાતનું ધ્યાન
મંદિરમાં અધિકૃત પાસ વિના કોઈ વ્યક્તિ કે વાહનને પ્રવેશ નહીં
મંદિરમાં પ્રવેશ માટે કરાઈ છે ખાસ વ્યવસ્થા
શ્રદ્ધાળુ અને સંતોની ઇચ્છા છે કે આ વર્ષે રામનવમી અસ્થાયી મંદિરમાં ધામધૂમથી ઉજવાય જેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેનો લાભ લઇ શકે. સંતો અને રામમંદિર નિર્માણના ટ્ર્સ્ટ્રીઓએ અનુરોધ કર્યો છે કે અસ્થાયી મંદિરનું નિર્માણ ચૈત્રી નવરાત્રી પહેલા થઇ જાય તો ઘટ સ્થાપનથી માંડીને રામલલ્લાના જન્મોત્સવને અસ્થાયી મંદિરમાં સારી રીતે મનાવી શકાય. સુરક્ષાને ધ્યાનમાં રાખીને એવી વ્યવસ્થા કરાઈ છે કે મંદિરમાં અધિકૃત પાસ વિના કોઈ વ્યક્તિ કે વાહન પણ પ્રવેશ કરી શકશે નહીં.
આ તકેદારી રખાઈ છે
પરિસરને લોખંડની પાઈપથી દોઢ ફૂટ પહોળા રસ્તા બનાવીને બનાવવામાં આવ્યું છે. જેમાં એક જ વ્યક્તિ અવર જવર કરી શકે. ભક્તોની ભીડ વધે ત્યારે સુવિધા માટે યુ આકારની સાંકડી ગલીઓ છે. હાલમાં સુપ્રીમ કોર્ટથી રામલલાના પક્ષમાં આવેલા નિર્ણય બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ભવ્ય રામ મંદિર બનાવવાની રણનીતી તૈયાર કરી રહ્યું છે.
ભૂમિપૂજનમાં આવી શકે છે મુશ્કેલી
સુરક્ષા ગલીઓ અને જાળીઓને હટાવતા પહેલાં 70 એકર જમીનને મજબૂત ઈંટની સીમેંટની દિવાલ બનાવવાની યોજના છે. આ કામ પહેલાં કરવાની ચર્ચા છે. એવામાં ભૂમિ પૂજનમાં મોડું થાય તે પણ શક્ય છે. મળતી માહિતી અનુસાર રામ મંદિરમાં હાલમાં ટ્રસ્ટે એજન્સીઓ પસંદ કરવાની છે જેને માટે ઓનલાઈન પ્રક્રિયા પણ પસંદ કરવામાં આવી શકે છે.
નવા ગર્ભગૃહમાં રામલલાને લઈ જવાનો સમય નક્કી નહીંઃડીએમ
મળતી માહિતી અનુસાર રામલલાને નવા સ્થાને લઈ જવાનો સમય હજુ નક્કી કરાયો નથી. હાલમાં આધારભૂત સંરચનાને પૂરી કરવાની યોજના બની રહી છે. નિર્માણ સમિતિના અધ્યક્ષના આવ્યા બાદ પરિસરની સુરક્ષાને લઈને રામલલાને નવા ગર્ભગૃહમાં લઈ જવા અને રામમંદિર નિર્માણની યોજના બની શકે છે.
સુરક્ષા એજન્સીઓ આપશે ક્લીયરન્સ પછી જ થશે રામલલાની સ્થાપના
હાલમાં ટ્રસ્ટ સામે રામલલાની સ્થાપના નવા સ્થાને કરવાને લઈને અનેક મુશ્કેલીઓ છે. ટ્રસ્ટ પહેલાં તેને લઈને વિવિધ એજન્સીઓની સાથે ચર્ચા કરશે અને પછી જ કોઈ નિર્ણય લેશે. જ્યાં સુધી સુરક્ષા એજન્સીઓ ક્લીયરન્સ નહીં આપે ત્યાં સુધી કોઈ કામ કરવામાં આવશે નહીં.