જમ્મૂ-કશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ આતંકીઓને ઠાર માર્યા બાદ તેમને દફનાવવાનો નિર્ણય લીધો છે. ઘાટીમાં સક્રિય આતંકીઓના સંગઠનમાં સામેલ થતા રોકવા માટે સુરક્ષા એજન્સીઓએ હવે એકાઉન્ટર બાદ આતંકીઓના મૃતદેહને પોતે દફન કરવાનો નિર્ણય લીધો છે.
સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ સ્થાનિક યુવાનોને આતંકી વિચારધારામાં જતા રોકવા માટે ગૃહ મંત્રાલય તરફથી મળેલી સલાહ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભૂતકાળમાં નજર કરવામાં આવે તો આતંકીઓની સ્મશાન યાત્રામાં મોસ્ટ વોન્ટેડ કમાન્ડરો સામેલ થતા હોવાના રિપોર્ટ સામે આવતા રહ્યાં છે.
આ ઉપરાંત સ્થાનિક યુવાનો આતંકી સંગઠનમાં સામેલ થતા હોવાની વાત પણ સામે આવી છે. આતંકીઓના મૃતદેહને IS અને પાકિસ્તાની ઝંડામાં લપેટીને દફનાવવામાં આવવાની તસવીરો પણ સામે આવ્યા બાદ કેટલીય વાર માગ ઉભી થઈ છે કે સાર્વજનિક રીતે નીકળતી આ સ્મશાન યાત્રા પર રોક લગાવવામાં આવે.
આ ઉપરાંત પણ કેટલીય વાર એવું પણ સામે આવ્યું છે કે આતંકીઓની સ્મશાન યાત્રામાં આતંકી દ્વારા AK-47 દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવે છે. એટલું જ નહીં પણ દેશ વિરોધી નારા લગાવતા યુવાનો પણ આવી સ્મશાન યાત્રામાં જોવા મળ્યા હતા.