અમદાવાદ શહેર અને જિલ્લામાં ખાદ્યતેલ-તેલીબિયાંના ડેપો તેમજ હોલસેલર્સને ત્યાં દિલ્હી અને ગાંધીનગરની ટીમનું સરપ્રાઈઝ ચેકિંગ
ગુજરાતમાં કાળા બજારીઓની ખેર નથી
તેલની કાળાબજારી કરતા વ્હાઇટ કોલર ક્રિમિનલ પર કેન્દ્ર સરકારનું ગુપ્ત ઓપરેશન
બ્લેકમાર્કેટિંગ કરતા તેલિયા રાજાઓના તમામ ડેપો પર તપાસ થશે
તેલની કાળાબજારી કરતા વ્હાઇટ કોલર ક્રિમિનલનો પર્દાફાશ કરવા માટે કેન્દ્ર સરકારનું આ ગુપ્ત ઓપરેશન છે. જે તે રાજ્ય સરકારની ટીમને સાથે રાખીને કાર્યવાહી કરે છે પરંતુ કાળાબજારી કરતા વેપારીઓ વિરુદ્ધ શી કાર્યવાહી કરાશે તેની જાણ ખુદ રાજ્ય સરકારને પણ હોતી નથી.
ખાદ્યતેલના ડેપો પર સિક્રેટ ઓપરેશન
મોંઘવારીએ એ હદે માજા મૂકી છે કે હવે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પણ કૂદકેને ભુસકે વધી રહ્યા છે. ખાદ્ય ચીજવસ્તુઓમાં તેલના ભાવ હાલ આસમાનને આંબી રહ્યા છે. જેના કારણે મધ્યમવર્ગના તેમજ ગરીબવર્ગના લોકો મોંઘવારીના મારથી પીસાઇ રહ્યા છે. લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડે નહીં તેમજ તેલમાં સંઘરાખોરી અને કાળાબજારી થાય નહીં તે માટે કેન્દ્ર સરકારની ફૂડ એન્ડ સિવિલ સપ્લાયની ટીમે ગુજરાતમાં ધામા નાખ્યા છે અને ઠેર ઠેર સરપ્રાઇઝ ચેકિંગ કરી રહી છે. ગાંધીનગર ફૂડ એન્ડ સિવિલ સપ્લાયની ટીમ તેમજ અમદાવાદ પુરવઠા વિભાગની ટીમને સાથે રાખીને દિલ્હીની ટીમે અમદાવાદ તેમજ અમદાવાદ જિલ્લાના ચાંગોદર, બગોદરા સહિતની જગ્યા પર આવેલા ખાદ્યતેલના ડેપો પર સિક્રેટ ઓપરેશન હાથ ધર્યું છે. છેલ્લા ચાર દિવસથી તેલ તેમજ તેલીબિયાંનો ધંધો કરતા વેપારીઓની દુકાનો તેમજ હોલસેલરના ત્યા ચેકિંગ શરૂ કરાતાં ગુજરાતના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગત મહિનામાં દેશના અન્ય રાજ્યોમાં પણ હાથ ધરાયું હતું ઓપરેશન
સરકારના અનેક પ્રયાસો બાદ પણ તેલના ભાવ આસમાનને આંબી રહ્યા છે જેના કારણે કેન્દ્ર સરકારે તેલના ભાવને રોકવા અને તેમની ઉપલબ્ધતા વધારવા માટે ખાદ્યતેલ અને તેલીબિયાંની સંઘરાખોરી અને કાળાબજારીને રોકવા માટે નિરીક્ષણ અભિયાન શરૂ કર્યું હતું. ગત મહિને કેન્દ્ર સરકારની ટીમે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવાં મોટાં રાજ્યોમાં તેલીબિયાં અને ખાદ્યતેલ ઉત્પાદક રાજ્યોમાં નિરીક્ષણ કર્યું હતું. જે તે રાજ્યની ફૂડ એન્ડ સિવિલ સપ્લાયની ટીમને સાથે રાખીને ચેકિંગ શરૂ કર્યું હતું. જેમાં કેટલાક વેપારીઓની સંઘરાખોરી અને કાળાબજારીનો પણ પર્દાફાશ થતાં તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
ખાદ્યતેલના ભાવમાં જનતાને રાહત મળે તેવી શક્યતા 4 દિવસમાં કેન્દ્ર સરકારના 2 મોટા નિર્ણય હોલસેલ વેપારી 50 ક્વિન્ટલ જ રાખી શકશે સ્ટોક રિટેઇલ વેપારી 5 ક્વિન્ટલ જ રાખી શકશે સ્ટોક બંને પ્રકારના વેપારી માટે સ્ટોક મર્યાદા જાહેર દરેક વેપારીએ સ્ટોકના આંકડા ફરજિયાત આપવા પડશે સરકારની પોર્ટલ પર વેપારીએ આકંડા મુકવા પડશે
હવે ગુજરાતમાં ચેકિંગની ઝુંબેશ
ત્રણ રાજ્યમાં શરૂ થયેલા સર્ચ ઓપરેશન બાદ કેન્દ્રીય ટીમે ગુજરાતમાં ચેકિંગની ઝુંબેશ વધુ તીવ્ર કરી છે. વૈશ્વિક પરિસ્થિતિને જોતાં છેલ્લા કેટલાક મહિનાઓથી વિવિધ પ્રકારનાં રસોઈ તેલના છૂટક ભાવમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. ભાવ વધારાને રોકવા માટે સરકાર દ્વારા અનેક પગલાં ભરાયાં હોવાં છતાંય ભાવ અંકુશમાં આવતા નથી. ભાવ અંકુશમાં નહીં આવવા પાછળ તેલ તેમજ તેલીબિયાંની સંઘરાખોરી તેમજ કાળાબજારી હોવાનું કારણ પણ સામે આવ્યું હતું.
કડક કાર્યવાહી થતાં વિરોધના સૂર પણ ઉઠયા
એપ્રિલ મહિનાથી ખાદ્યતેલ અને તેલીબિયાંના વેપારીઓની તપાસ કરવા માટેનું મહાઅભિયાન શરૂ કરવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું હતું. આ અભિયાન બાદ વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને કેટલીક જગ્યાએ નારાજગી વ્યક્ત કરીને કેન્દ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ પણ કર્યો હતો. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા એડિબલ ઓઇલ ટ્રેડર્સ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે કેન્દ્ર સરકારને રજૂઆત કરીને પોતાની નારાજગી વ્યકત કરી હતી.
ખાદ્યતેલના ભાવમાં જનતાને રાહત મળે તેવી શક્યતા
4 દિવસમાં કેન્દ્ર સરકારના 2 મોટા નિર્ણય
હોલસેલ વેપારી 50 ક્વિન્ટલ જ રાખી શકશે સ્ટોક
રિટેઇલ વેપારી 5 ક્વિન્ટલ જ રાખી શકશે સ્ટોક
બંને પ્રકારના વેપારી માટે સ્ટોક મર્યાદા જાહેર
દરેક વેપારીએ સ્ટોકના આંકડા ફરજિયાત આપવા પડશે
સરકારની પોર્ટલ પર વેપારીએ આકંડા મુકવા પડશે
ગુજરાત સહિત આઠ રાજ્યમાં આઠ કેન્દ્રીય ટીમની તવાઇઃ
સરકારે પહેલેથી જ ખાદ્યતેલ પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે આ વર્ષના અંત સુધી સ્ટોક હોલ્ડિંગ મર્યાદામાં વધારો કર્યો છે અને બંદરો પર જહાજો ઉપરાંત ખાનગી વેપારીઓ દ્વારા આયાતની સુવિધા આપી છે. સ્ટોક લિમિટ ઓર્ડરના અમલ માટે કડક પાલનની ખાતરી કરવા માટે આઠ કેન્દ્રીય ટીમ નિયુક્ત કરવામાં આવી છે. મોટાભાગનાં રાજ્યનાં ખાદ્યતેલ અને તેલીબિયાંના સ્ટોકની તપાસ કરવા માટે તપાસ ચાલી રહી છે જેમાં છૂટક વિક્રેતાઓ, જથ્થાબંધ વેપારીઓ, મોટી સાંકળના છૂટક વિક્રેતાઓ અને પ્રોસેસર્સનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દિલ્હી આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની જોગવાઈઓ અનુસાર ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.
તેલ તેમજ તેલીબિયાંનો નિયમથી સ્ટોક હશે તો કાર્યવાહી થશે
ખાદ્યતેલ અને તેલીબિયાં વેચવા માટે કેટલાક નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે. જે અનુસાર રિટેલર ૩૦ ક્વિન્ટલ, હોલસેલર ૫૦૦, અને ડેપોમાં ૧૦૦૦ ક્વિન્ટલથી વધુનો જથ્થો રાખી શકાય નહીં. આ સિવાય તેલીબિયાંમાં રિટેલર ૧૦૦ ક્વિન્ટલ, હોલસેલર બે હજાર ક્વિન્ટલથી વધુનો જથ્થો રાખી શકે નહીં. ૯૦ દિવસથી વધુના સ્ટોકની સંઘરાખોરી કરવી તે પણ ગુનાની જોગવાઇમાં આવે છે.