હિંદુઓના એક પ્રમુખ સ્થળમાં અમરનાથનું નામ આવે છે. અમરનાથ ગુફા ભગવાન શિવના મહત્વના ધાર્મિક સ્થળમાંથી એક છે. એવું કહેવામાં આવે છે કે અમરનાથ ગુફામાં ભગવાન શિવે મા પાર્વતીને અમરત્વનું રહસ્ય જણાવ્યું હતું. જેને અમરેશ્વરના નામથી પણ ઓળખાય છે. આવો જાણીએ આવી જ કેટલીક રસપ્રદ જાણકારીઓ…
51 શક્તિપીઠોમાંથી એક:
અમરનાથ ગુફામાં સ્થિત પાર્વતી પીઠ 51 શક્તિપીઠમાંથી એક છે. માન્યતા છે કે અહીંયા ભગવાન સતીનો કંઠ ભાગ પડ્યો હતો. કાશ્મીરની ઘાટીમાં સ્થિત પાવન અમરનાથ ગુફા પાકૃતિક છે.
કોણે શોધી હતી અમરનાથ ગુફા:
એવું માનવામાં આવે છે કે આ ગુફાની શોધ બુટા મલિક નામના મુસ્લિમે કરી હતી. એક વાર તે ઘેટાં-બકરા ચરાવવા માટે દૂર જંગલમાં ચાલ્યો ગયો હતો. જંગલમાં તેની મુલાકાત એક સાધુ સાથે થઇ હતી. સાધુએ બુટા મલિકને કોલસાથી ભરેલી એક સગડી આપી હતી. ઘર પહોંચીને જ્યારે તેણે જોયું તો તેમાં કોલસાની જગ્યાએ સોનું ભરેલું હતું. આથી તે સાધુનો આભાર માનવા માટે ફરીથી ગયો. પરંતુ ત્યાં તેણે સાધુને ન જોતાં એક વિશાળ ગુફા જોઇ હતી. એવું કહેવાય છે કે તે સમયથી જ તે તીર્થસ્થળ બની ગઇ.
સંભળાવ્યો હતો અમરત્વનો મંત્રોચ્ચાર:
પ્રાકૃતિક શિવલિંગનું નિર્માણ સાથે આ ગુફાનું મહત્વ એટલા માટે પણ છે કે એવું કહેવામાં આવે છે કે અહીં જ ભગવાન શિવે પાર્વતીને અમરત્વનો મંત્રોચ્ચાર સંભળાવ્યો હતો.
શિવજીએ કર્યો હતો પરિત્યાગ:
એવું માનવામાં આવે છે કે અમરત્વ મંત્ર સંભળાવતા પહેલા ભગવાન શિવે બધી વસ્તુઓનો ત્યાગ કર્યો હતો. જ્યારે ભગવાન શિવ પાર્વતીને અમરકથા સંભળાવવા લઇ જતાં હતાં ત્યારે રસ્તામાં પહલગામમાં નંદીનો પરિત્યાગ કર્યો હતો. આ પછી ચંદનવાડીમાં પોતાની જટામાંથી ચંદ્રમાને મુક્ત કર્યાં હતાં. એક તળાવના કિનારે દરેક સાપને મુક્ત કર્યા અને ગણેશજીને મહાગુણસ પર્વત પર છોડ્યાં હતાં. છેલ્લે પંચતરણી નામની જગ્યા પર ભગવાન શિવે પાંચે તત્વોનો પરિત્યાગ કર્યો હતો.
આ કારણે જોવા મળે છે જોડી:
શાસ્ત્રો અનુસાર મા પાર્વતીની સાથે જ અમરકથા ત્યાં હાજર રહેલા બે કબૂતરોએ પણ સાંભળી હતી. જે પછી શુકદેવ ઋષિના અવતારમાં અમર થયાં. એવું કહેવાય છે કે આજે પણ ગુફામાં કબૂતરોની જોડી જોવા મળે છે. જેમને અમર પક્ષી માનવામાં આવે છે.
પાક્કા બરફનું બને છે શિવલિંગ:
ગુફાની અંદર શિવલિંગ પાક્કા બરફનું બને છે જ્યારે ગુફાની બહાર અનેક કિલોમીટર દૂર સુધી કાચો બરફ પથરાયેલો હોય છે. શિવલિંગ પાકા બરફનું કઇ રીતે બને છે. તે આજસુધી એક રહસ્ય બનેલું છે.