અમદાવાદઃ હાર્દિક પટેલ પોતાની ત્રણ માગણીઓ સાથે છેલ્લા 18 દિવસથી ઉપવાસ કરી રહ્યો છે. ત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે હાર્દિક પટેલના પારણા થાય તે માટે પાટીદાર સમાજની અલગ અલગ સંસ્થાઓની એક ગુપ્ત બેઠક યોજાઈ હતી. જેમાં સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. ઉમિયા ધામના સહમંત્રી રમેશ દૂધવાળા હાર્દિક પટેલ સાથે મુલાકાત કરશે. પાટીદાર સંસ્થાઓનો સંદેશો હાર્દિકને જણાવશે. તો સંસ્થાઓએ હાર્દિકને પારણા કરી લેવા વિનંતી કરી છે.
મળતી માહિતી અનુસાર જેમ બને તેમ વહેલા હાર્દિકના ઉપવાસનાં પારણના પ્રયાસો તેજ બની રહ્યા છે. સામાજિક સંસ્થાઓ પારણા કરાવવા ફરી મેદાને આવી શકે છે. અજ્ઞાત સ્થળ પર સંસ્થાના આગેવાનોની બેઠક મળી છે. સરકાર દ્વારા નમતુ ન જોખતા ઉપવાસ છાવણી ચિંતામાં છે. ત્યારે આવનારા થોડા સમયમાં હાર્દિક પટેલના પારણા થવાની શક્યતા છે.
પાટીદાર સમાજની સંસ્થાઓની ગુપ્ત બેઠક યોજાઇ હતી. જેમાં ઉમિયાધામના સહમંત્રી રમેશ દુધવાલા હાર્દિક પટેલ સાથે મુલાકાત કરશે. સામાજિક સંસ્થાઓ હાર્દિકને પારણા કરી લેવાનો સંદેશો આપશે.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલની સાથે આજે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે મુલાકાત કરી હતી. તેમણે પણ હાર્દિક પટેલને પારણા કરી લેવા અંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જીવીશું તો લડીશું.
બીજી બાજુ હાર્દિક પટેલની પ્રકાશ આંબેડકરે મુલાકાત લીધી હતી. ડો. બાબાસાહેબ આંબેડકરનાં છે પ્રપૌત્ર પ્રકાશ આંબેડકર. છત્તીસગઢના પૂર્વ સીએમ અજિત જોગીના પુત્ર અમિત જોગીએ પણ હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી.