SBI દ્વારા જાહેર કરવામાં એક અહેવાલ પ્રમાણે દેશના 25 લાખથી વધુ લોકો કોરોનાથી પીડિત થઈ શકે છે, સાથે જ કહેવામાં આવ્યું છે કે આવનારા એપ્રિલ-મે મહિનામાં આ વેવ તેની પીક પર હશે.
ભારતમાં ફેબ્રુઆરી મહિનાથી કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જે સ્પષ્ટ સંકેત છે કે કોરોનાની બીજી લહેર હવે દેશમાં પહોંચી ગઈ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની રિસર્ચ ટીમે તૈયાર કરેલા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. કોરોનાની બીજી વેવ લગભગ 100 દિવસ સુધી ભારતમાં રહી શકે છે. જો 15 ફેબ્રુઆરીથી તેની ગણતરી કરવામાં આવે તો તેની અસર મે મહિના સુધી રહી શકે છે. અહેવાલ અનુસાર કોરોનાની આ લહેર આગામી એપ્રિલ-મે મહિનામાં તેના ટોચ પર હશે.
માસ લેવલ પર રસીકરણ જ એકમાત્ર ઉપાય છે
આધાર તરીકે 23 માર્ચના ટ્રેન્ડને જો ધ્યાનમાં રાખવામાં આવે, તો દેશમાં બીજી લહેરથી 25 લાખથી વધુ લોકો કોરોનાથી પીડિત હોઈ શકે છે SBI દ્વારા બહાર પાડવામાં આવેલા 28 પાનાની એક રિપોર્ટમાં જણાવાયું છે કે સ્થાનિક સ્તરે લોકડાઉન પ્રતિબંધોની કોઈ અસર નથી થવાની. તેથી માસ લેવલ પર રસીકરણ જ એક માત્ર ઉપાય છે.
જો આર્થિક સૂચકાંકો પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો જોઈ શકાય છે કે પાછલા અઠવાડિયાથી ઇન્ડેક્સમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક રાજ્યોમાં, સાવચેતી લોકડાઉન જેવા પગલા ભરવાની અસર આવતા મહિનાથી દેખાશે. આ રિપોર્ટમાં રાજ્યોમાં રસીકરણ પ્રક્રિયા ઝડપી કરવાની જરૂર હોવાનું પણ ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે.
રસીકરણની ગતિ વધારવી જોઈએ
જો હાલના પ્રોજેક્ટ રસીકરણની ગતિ દરરોજ 34 લાખથી વધારીને 40-45 લાખ કરવામાં આવે છે, તો 45 વર્ષથી ઉપરના લોકોને ત્રણથી ચાર મહિનામાં સંપૂર્ણ રસી આપવામાં આવી શકે છે.
ICMR ના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યું કે કોરોનાની આ બીજી લહેર સમય કરતાં પહેલા જ આવી ગઈ છે. તેથી જ આપણે સૌએ વધુ જાગૃત રહેવાની જરૂર છે. વધુ અને વધુ ટેસ્ટિંગ થવા જોઈએ, માસ્ક લાગુ કરવો જરૂરી છે, તેમજ રસીકરણ શક્ય તેટલી વહેલી તકે પૂરું કરવું જોઈએ.