વન ડે શ્રેણીમાં 0-1થી પાછળ રહેલી ભારતીય ટીમ આવતી કાલે વિશાખાપટ્ટનમમાં વિન્ડીઝ સામે બીજી વન ડે માટે મેદાનમાં ઊતરશે. વિશાખાપટ્ટનમ એ મેદાન છે, જ્યાં વિન્ડીઝની ટીમ ભારતને હંમેશાં જોરદાર ટક્કર આપતી રહી છે.
ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા આઠ વિકેટે 287 રન બનાવ્યા
ભારત-વિન્ડીઝ વચ્ચેનો આવતી કાલનો મુકાબલો દિલચસ્પ બની રહેશે
બંને ટીમ વચ્ચે આ મેદાન પર અત્યાર સુધીમાં ચાર મેચ રમાઈ ચૂકી છે, જેનું પરિણામ બરોબરી પર રહ્યું છે. હવે આવતી કાલે નકક્કી થશે કે કઈ ટીમ છે, જે વિશાખાપટ્ટનમમાં પોતાનું પલડું ભારે રાખવામાં સફળ રહે છે.યજમાન ભારત અને વિન્ડીઝ વચ્ચે પ્રથમ વન ડે ગત રવિવારે ચેન્નઈમાં રમાઈ હતી. વિન્ડીઝે એ મેચમાં ભારતને આઠ વિકેટે કારમો પરાજય આપ્યો હતો. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા આઠ વિકેટે 287 રન બનાવ્યા હતા.વિન્ડીઝે પોતાના બે સદીવીરો શિમરોન હેટમાયર (139) અને શાઈ હોપ (અણનમ 102)ની ઇનિંગ્સની મદદથી એ મેચ 48મી ઓવરમાં જ જીતી લીધી હતી.
ભારતે અહીં વિન્ડીઝને 2011માં પાંચ વિકેટે માત આપી
હવે બંને ટીમ ફરી એક વાર વિશાખાપટ્ટનમમાં ટકરાશે. ભારત અહીં નવ મેચ રમી ચૂક્યું છે, પરંતુ આ સિક્કાની માત્ર એક બાજુ છે, સિક્કાની બીજી બાજુ વિન્ડીઝના પક્ષમાં દેખાઈ રહી છે. વિન્ડીઝે આ મેદાન પર ભારત સામે ચાર મેચ રમી છે, જેમાંથી એકમાં જીત મેળવી છે. વર્ષ 2018માં રમાયેલી મેચ ટાઇ રહી હતી, જ્યારે ૧૪ ઓક્ટોબર-૨૦૧૪ના રોજ અહીં ભારત અને વિન્ડીઝની મેચ એક પણ બોલ ફેંકાયા વિના રદ થઈ ગઈ હતી. ભારતે અહીં વિન્ડીઝને 2011માં પાંચ વિકેટે માત આપી હતી. વર્ષ ૨૦૧૩માં રમાયેલી મેચ વિન્ડીઝે બે વિકેટે જીતી લીધી હતી.
મહેમાન ટીમ વર્તમાન શ્રેણીમાં 1-0થી આગળ છે
સ્પષ્ટ છે કે ભારત-વિન્ડીઝ વચ્ચેનો આવતી કાલનો મુકાબલો દિલચસ્પ બની રહેશે. મહેમાન ટીમ વર્તમાન શ્રેણીમાં 1-0થી આગળ છે તેથી વિરાટ સેના માટે આ મુકાબલો 'કરો યા મરો' સમાન બની ગયો છે. જો ભારતીય ટીમ આવતી કાલે હારી જશે તો શ્રેણી પણ ગુમાવી દેશે. આથી કોહલી એન્ડ કંપની કોઈ પણ સંજોગોમાં આવું બનવા દેવા ઇચ્છતી નથી. બીજી તરફ વિન્ડીઝની ટીમની કોશિશ રહેશે કે તે પોતાના આ નસીબવંતા મેદાન પર મેચ અને શ્રેણી જીતી લે.