ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ જ સક્રિય બનેલા પાટીદાર સમાજની બીજી બેઠક યોજાશે, ખોડલધામ બાદ અમદાવાદમાં સોલા ઉમિયાધામમાં સમાજના આગેવાનો અને રાજકીય નેતાઓ રહેશે હાજર
ચૂંટણી નજીક આવતા રાજ્યમાં બેઠક પોલિટિક્સનો દોર યથાવત
અમદાવાદમાં પાટીદાર સમુદાયની વધુ એક બેઠક યોજાશે
રવિવારે SG હાઇવે પર સોલા ઉમિયાધામ ખાતે યોજાશે બેઠક
ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી નજીક આવતા જ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તમામ પક્ષોએ વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે પાટીદાર સમાજ પણ પાછળ રહ્યો નથી. પાટીદાર સમાજે પણ સમાજની વધુ એક બેઠકનું આયોજન કર્યું છે. વધુ એક વાર પાટીદાર સમાજની બેઠકને લઇને VTV પાસે EXCLUSIVE ખબર આવી છે. આગામી 25 જુલાઈએ એટલે કે રવિવારે SG હાઇવે પર સોલા ઉમિયાધામ ખાતે પાટીદાર સમાજની વધુ એક બેઠક મળશે. આ બેઠકમાં કડવા પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં મણીભાઈ પટેલ ઉર્ફે મમ્મી અને રમેશભાઈ દૂધવાળા જોડાશે.
તો દિલીપ નેતાજી, સી.કે.પટેલ, બાબુ જમના પટેલ અને વાસુદેવ પટેલ પણ હાજર રહેશે. મળતી માહિતી મુજબ સમાજના ઉત્થાન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, અગાઉ મહેસાણાના ઉંઝા ખાતે કડવા અને લેઉવા પાટીદાર સમાજની એક ચિતન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને સમાજ વચ્ચે સમરસતા વધે, સાથે સાથે સામાજિક અને રાજકીય મહત્વ વધે તે મુદ્દા પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
તો આ બેઠકમાં ખોડલધામના નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, પાટીદાર સમાજની રાજકીય અને અધિકારી લેવલે નોંઘ લેવાતી નથી. જે નોંધ લેવાય તે જરૂરી છે. તો ઊંઝા ઉમિયા ધામના પ્રમુખ મણીભાઈ પટેલે ઉર્ફે મમ્મીએ કહ્યું હતું કે, પાટીદાર સમાજ એક બીજાના ટાંટિયા ખેંચવાની જગ્યાએ સમાજને એક કરે તે જરૂરી છે. તેમજ કડવા અને લેઉવા સમાજમાં રાજકીય સમજ આવે તે જરૂરી છે.