લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂકયા છે અને રાજકીય પક્ષો પોતપોતાના ઉમેદવરોની શોધ માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે, ત્યારે તાજેતરમાં ભાજપ દ્વારા લેવાયેલા સેન્સમાં અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ એટલે કે, 26 કાર્યકર્તાઓએ ટિકિટ માંગી છે અને તેમાં પણ સૌથી વધુ કોળી સમાજના સભ્યોએ ટિકિટ માંગી છે કારણ કે, ભાવનગર જીલલામાં સૌથી વધુ મતદારો કોળી સમાજના છે. જોકે જમણકારોનું માનવું છે કે, જ્ઞાતિવાદી રાજકારણના બદલે શિક્ષિત અને સાંપ્રત સમાજના લોકોને પણ પ્રતિનિધિત્વ કરવાની તક મળે તે દિશામાં રાજકીય પક્ષોએ વિચારવાની જરુર છે નહિતર જ્ઞાતિવાદી રાજકારણ આગામી સમયમાં ઘાતક પુરવાર થયા તેમ છે.
લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ટિકિટ વાંચ્છુકો પોતાપોતાના ગોડ ફાઘર મારફતે ટીકીટ મેળવવા અને જ્ઞાતિવાદી રાજકારણનો દાવ ખેલી રહ્યા છે. આપણે વાત કરીએ ભાવનગર લોકસભા બેઠકની તો અહીં આ બેઠક 1952માં અસ્તિત્વમાં આવી છે અને આ બેઠક ઉપરથી અત્યાર સુધીમાં 6 વખત બ્રાહ્મણ અને વણિક સમાજના સાંસદ સભ્ય વિજેતા થયા છે. 3 વખત કોળી સમાજ અને 3 વખત ક્ષત્રિય સમાજના ઉમેદવારો અત્યાર સુધીમાં લોકસભામાં પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. ભાવનગરમાં લોકસભા બેઠકમાં 7 વિધાનસભા માટે વિસ્તારનો સમાવેશ થાય છે. 2017માં અહીં 6 બેઠક ભાજપ પાસે છે અને 1 બેઠક માત્ર કોંગ્રસ પાસે છે, જેથી આ બેઠક ભાજપ માટે સલામત ગણવામાં આવે છે. હાલ આ બેઠક ભાજપ પાસે છે અને કોળી સમાજના ભારતીબેન શિયાળા અહીંના સાંસદ છે. જોકે આ વખતે તેમને ભાજપ રિપીટ કરશે કે, કેમ તે એક સવાલ છે. આ વર્ષે હીરાભાઇ સોલંકી, મહેન્દ્ર પનોત અને રાજુભાઇ રાણા મજબૂત દાવેદાર મનાય છે. ભવનગર જિલ્લામાં જે સેન્સ લેવાયા છે તેમાં 26 લોકોએ ટિકિટ માંગી છે. જેમાં કોળી સમાજના 15, ક્ષત્રિય સમાજના 6, બ્રાહ્મણ સમાજના 3, જ્યારે પટેલ અને લુહાર સમાજના એક-એક લોકોએ ટિકિટ માંગી છે રાજકીય લોકો જ્ઞાતિવાદી રાજકારણના બદલે સારાને ટિકિટ આપાય તેવું ઈચ્છી રહ્યાં છે.
ભાવનગર લોકસભાની બેઠકમાં અત્યાર સુધી જે લોકોએ પ્રતિનિધિત્વ કર્યું છે, તેઓ ભાવનગરને જોઈએ તેવો વિકાસ કરાવી શક્યા નથી, જેનો લોકોને અફસોસ છે. ભાવનગર જિલ્લાની બેઠક 1991થી ભાજપ પાસે છે, પરંતુ અન્ય શહેરોની જેટલી સુવિધા કેન્દ્ર સરકારમાંથી મળી નથી તેમ જાણકારોનું માનવું છે. ભાવનગરમાં કોળી સમાજ ઉપરાંત અન્ય સમાજો પણ ચૂંટણીના જંગમાં ઝંપલાવે તેવું રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માની રહ્યાં છે. ભાવનગરમાં સૌથી વધુ મતદારો કોળી સમાજના છે. જિલ્લના કુલ 17 લાખ મતદારોમાં કોળી સમાજના 5.25 લાખ મતદારો છે, દલિત સમાજના 2.75 લાખ અને પટેલ સમાજના 2.5 લાખ મતદારો છે. સિનિયર પત્રકારોનું માનવું છે કે, જ્ઞાતિવાદી સમીકરણના બદલે ભાવનગરનો વિકાસ કરે તેવા ઉમેદવારોને પક્ષે ટીકીટ આપવી જોઈએ.