રોગચાળાની નવી આફતથી સરકાર મુઝવણમાં, મનપાના અધિકારીઓ હાથ પર હાથ ધરી બેઠા?
ગુજરાત સીઝનલ રોગચાળાની ચપેટમાં
અમદાવાદ, સુરતમાં કેસોની સંખ્યા અચાનક વધી
વડોદરા, રાજકોટ પણ મચ્છરજન્ય રોગચાળાના ભરડામાં
રાજ્યમાં કોરોના બાદ હવે રોગચાળો ફાટી નીકળ્યો છે.રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટમાં મેલેરિયા,કમળો,ટાઈફોઈડ,કોલેરા,ચિકનગુનિયા સહિતના પાણીજન્ય રોગોનો ભરડો જોવા મળી રહ્યો છે.રાજ્યના શહેરોની સ્થિતિ જાણીએ તો અમદાવાદમાં ઝાડા-ઉલ્ટી,કમળો, વડોદરામાં પાણીજન્ય મચ્છરજન્ય રોગો,સુરતની વાત કરીએ તો મેલેરિયા,ડેન્ગયુ,ટાઈફોઈડ અને રાજકોટમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ બહાર દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે.આમ રાજ્યમાં હવે રોગચાળાની નવી આફતે સરકારને મુઝવણમાં મૂકી છે.
હેલ્થ ઓફિસર નેતાઓના ફોન નથી ઉપાડતા
અમદાવાદ AMCના વધુ એક અધિકારીની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ડેપ્યુટી હેલ્થ ઓફિસર મેહુલ આચાર્યની વહિવટી કામગીરીને લઈ ઠપકા દરખાસ્ત કરવા કાઉન્સિલરની સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂઆત કરાઈ છે. મેહુલ આચાર્ય ફોન નથી ઉપાડતા હોવાની કોર્પોરેટરોએની ફરિયાદ નોંધાવી છે. રોગચાળાના માહોલ વચ્ચે અધિકારી ફોન ઉપાડતા નથી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે નિવેદન આપ્યું છે. જેથી હિતેશ બારોટે કહ્યું કે,અધિકારી ફોન ન ઉપાડે તે ચલાવી લેવાય નહીં. ફોન ન ઉપડનાર અધિકારો સામે યોગ્ય કાર્યવાહી થશે.શાક માર્કેટ, ખાણી-પીણીનાં બજારો, જાહેર સ્થળો પણ ગંદગીનાં ધામ બન્યાં છે. ડોર ટુ ડોરની કામગીરીમાં થતાં કૌભાંડ તો છાશવારે પ્રકાશમાં આવે છે. આમ છતાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદ સોલંકીની ફરજ પ્રત્યેની ઘોર બેદરકારીથી સમગ્ર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ પણ બેદરકાર બની ગયો છે.
અમદાવાદમાં બાળકો રોગચાળાની ચપેટમાં
અમદાવાદમાં ઋતુજન્ય રોગચાળાના ભરડામાં બાળકો આવી ગયા છે. અમદાવાદમાં 11 મહિનાના બાળકને સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો સામે વાયરલ તાવ આવવાના 38 કેસ નોંધાતા તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. ઝાડા-ઉલ્ટીના 15 કેસ સોલા સિવિલ હોસ્પિટલમાં આવ્યા મહત્વનું છે કે રોજના 150થી 180 બાળકોને OPDમાં લાવવામાં આવે છે જ્યારે શહેરમાં રોજ સિઝનલ રોગચાળાના 5000થી વધુ ઓપીડી કેસ આવી રહ્યા છે.
સુરત શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો
સુરતની સૂરત પાણીજન્ય રોગચાળાએ બદલી નાખી છે, સુરત સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની લાઇનો જોવા મળી રહી છે મોટી સંખ્યામાં હોસ્પિટલ તરફ દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. ચાલુ માસમાં મલેરિયાના 71 કેસ, ડેન્ગ્યૂના 10 કેસ નોંધાયા કમળાના 9 અને ટાઇફોઇડના 42 કેસ સામે આવ્યા છે. હજુ વધુ વિકટ પરિસ્થિતિનો સુરતવાસીઓને સામનો કરવો પડે તેમ છે કારણ કે રોગચાળો વકરી રહ્યો છે પણ તંત્ર હાથ પર હાથ ધરી બેસી રહ્યું છે.
રાજકોટમાં મચ્છરોનો ઉપદ્રવે રોગચાળો વધાર્યો
રાજકોટમાં છેલ્લા 15 દિવસથી રોગચાળો વકર્યો છે. રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર થઈ છે. આમ, પણ રાજકોટ વાસીઓ મચ્છરના ઉપદ્રવનો પહેલાથી જ સામનો કરી રહ્યા છે ત્યારે આજી નદીમાં મચ્છરોના વધુ પડતાં ઉપદ્રવથી રોગચાળોએ માથું ઉચક્યું છે. શહેરમાં મેલેરિયાના 4 કેસ, ડેન્ગ્યૂના 6 કેસ, શરદી-ઉધરસના 186 કેસ, શહેરમાં ઝાડા-ઉલ્ટીના 72, કમળાના 4 કેસ નોંધાયા છે.
વડોદરામાં પણ વધી રહ્યો છે રોગચાળો
વડોદરા શહેરમાં ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, તાવના કેસમાં એકાએક વધારો આવ્યો છે. ડેન્ગ્યૂના 29, ચિકનગુનિયાના 10, મેલેરિયા અને કમળાનો 1-1 દર્દી સામે આવ્યા છે જ્યારે ચાલુ વર્ષે ડેન્ગ્યુના 393, ચિકનગુનિયાના 244 કેસ, મેલેરિયાના 51, કમળાના 42, ટાઈફોઈડના 81, કોલેરાના 49, ઝાડા-ઉલ્ટીના 9,345 કેસ નોંધાતા વડોદરા મનપા દોડતું થઈ ગયું છે. રોગચાળો વધતા આરોગ્ય અધિકારીઓ-કર્મચારીઓ સતત વિસ્તારમાં ફરી સર્વે કરી રહ્યા છે.