વલસાડમાં દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા મોટી દાંતી ગામ દરિયાઇ પાણીમાં ડૂબી જવાની ભીતિ, પ્રોટેક્શન વૉલના અભાવે લોકોના ઘરોમાં ઘુસી રહ્યા છે પાણી
વલસાડનું મોટીદાંતી ગામ મુસીબતમાં
દરિયાકાંઠે આવેલુ છે ગામ, ભરતીને કારણે ઘરોમાં ઘુસે છે પાણી
પ્રોટેક્શન વૉલ બનાવવાની તંત્ર તસ્દી ન લેતા લોકો પરેશાન
વલસાડનુ મોટી દાંતી ગામ જ્યારે ચોમાસુ આવે એટલે મુસીબતમાં મુકાય. કારણ કે દરિયાકાંઠે આવેલુ આ ગામ આખુ ક્યાંક ડૂબી ન જાય તેવો ભય સતત સતાવતો રહે છે. આની પાછળ જવાબદાર છે તંત્ર. કારણ કે ગામમાં પ્રોટેક્શન વૉલ વર્ષોથી તૂટી ગઇ છે તેને બનાવવાની તંત્ર તસ્દી લેતુ નથી.
પ્રોટેક્શન વૉલના અભાવે ઘરોમાં ઘુસે છે પાણી
હાલમાં વરસાદી માહોલ છે. દરિયો તોફાની બન્યો છે. દરિયાના પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યા છે. એક તો વરસાદ અને પાછુ દરિયાનું પાણી આવે, ગામવાસીઓએ રહેવુ ક્યાં ? મહત્વનું છે કે દરિયામાં ભરતી અને ઓટ આવ્યા જ કરે છે પરંતુ ચોમાસુ હોય ત્યારે દરિયો પોતાનુ રૌદ્ર સ્વરૂપ બતાવે છે., હાલમાં પણ આવી જ સ્થિતિ છે જેથી લોકો તંત્ર સમક્ષ માંગ કરી રહ્યા છે કે મજબૂત પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે.
ગેરકાયદેસર રેતી ખનન બંધ કરાવવા માંગ
વલસાડ તાલુકાના મોટી દાંતી ગામ ખાતે દરિયાની ભરતીના કારણે દિવસે દિવસે ધોવાણ વધી રહ્યું છે. હાલ બે માળ જેટલા ઊંચા દરિયામાં મોજા ઉછળી રહ્યા છે. વળી નવસારી જિલ્લાના રેતી માફિયાઓ દ્વારા કરવામાં આવતી રેતીખનનની પ્રવૃત્તિ મોટી દાંતી દરિયા કિનારા વિસ્તારમાં કરવામાં આવે છે. જે બંધ કરાવવા તથા સ્થાનિકોની સુરક્ષા માટે મજબૂત પ્રોટેક્શન વૉલ બનાવવાની માંગ કરવામાં આવી છે.
બે માળ જેટલા ઊંચા ઉછળી રહ્યા છે મોજા
વલસાડ જિલ્લાના આ દરિયાઈ પટ્ટી ગામોની આ ભરતી મુખ્ય સમસ્યા બની રહી છે. છેલ્લા બે દશકથી મોટી દાંતી ગામનો દરિયો ગામના અનેક વિસ્તારોને ગરકાવ કરી ચૂક્યો છે.. ધીરે ધીરે આ દરિયો પોતાની હદ વટાવી ચૂક્યો છે અને દરિયાના પાણી ગામમાં ઘૂસી રહ્યા છે ..અત્યારે દરિયામાં બીજની ભરતી આવવાથી દરિયામાં બે માળ જેટલા વિશાળ મોજા ઉછળે છે..
ક્યારે બનશે પ્રોટેક્શન વૉલ ?
મોટી દાતી ગામમાં મોટાભાગની વસ્તી ટંડેલ સમાજની છે.. ગામ ના લોકો દરિયામાં માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. દરિયા કિનારે વસવાટ કરવોએ આ ગામના લોકોની મુખ્ય મજબૂરી છે જેથી તેઓ આ ગામ છોડીને અન્ય ક્યાંય જઈ શકતા નથી.. દરિયા કિનારે માછીમારી કરીને ગુજરાત ચલાવતા હોય છે..પરંતુ ચોમાસામાં જ્યારે એકમ બીજ અને તીજની વિશાળ ભરતી આવતી હોય છે. ત્યારે આ ગામમાં મુશ્કેલીનો વધી જાય છે.. એવું નથી કે, આ ગામના લોકોએ તંત્રને રજૂઆત નથી કરી વારંવાર આ ગામના લોકોએ સ્થાનિક ધારાસભ્યથી લઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે લોકોનું માનવું છે કે, ગેરકાયદેસર રેતી ખન્નાના કારણે આ સ્થિતિ ઉભી થઈ છે..ત્યારે હવે જોવુ એ રહ્યુ કે તંત્ર દ્વારા ક્યારે મજબૂત પ્રોટેક્શન વૉલ બનાવવામાં આવશે.