લોખંડી પુરૂષ સરદાર પટેલની 145મી જન્મજયંતિ રાષ્ટ્રીય એક્તા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેન લીલીઝંડી ઝંડી આપી હતી. તેમણે પ્લેનમાં બેસીને કેવડિયાથી અમદાવાદ સુધી સફર કરી હતી. ત્યારબાદ સી-પ્લેનની સેવા લોકો માટે શરૂ કરવામાં આવી છે. ત્રણ દિવસ ઉડાન ભરેલા સી-પ્લેનમાં 80 મુસાફરો મુસાફરી કરી ચૂક્યા છે. તેવામાં હવે સી-પ્લેનને લઇને મહત્વના સમાચાર આવ્યા છે. સી-પ્લેનના મેઇન્ટેનન્સ અને પાઇલટને આરામ આપવા માટે ફ્લાઇટ અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે.
સી-પ્લેનને લઈને મહત્વના સમાચાર
મેઇન્ટેનન્સ અને પાઇલટને આરામ આપવા માટે ફ્લાઇટ 2 દિવસ બંધ રહેશે
અઠવાડિયામાં બુધવાર અને ગુરૂવારે સી-પ્લેન બંધ રહેશે
સી પ્લેનની સેવાનો લાભ લેનારા પ્રવાસીઓએ હવે સી પ્લેનમાં બેસવા માટે બે દિવસ રાહ જોવી પડશે. 1 નવેમ્બરથી શરુ કરાયેલી સી-પ્લેનની સેવા મેઇન્ટેનન્સના કારણે બુધવાર અને ગુરુવાર એમ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે અઠવાડિયામાં 5 દિવસ જ સી-પ્લેન ઉડાન ભરશે. 2 દિવસ માટે સેવા બંધ રહે તેવી શક્યતા સેવાઇ રહી છે.
સરકારી ગાઇડલાઇન મુજબ પાઇલટને આરામ આપવા માટે ફ્લાઇટ 2 દિવસ બંધ રહેશે
ઉલ્લેખનીય છે કે હાલમાં સી-પ્લેન માટે 3 પાઇલટ આવ્યા છે અને તેમની સાથે એક એટેન્ડેન્ટ છે. જોકે તેઓના ફ્લાઇટના કલાકો પુરા થઇ જતા તેમજ સરકારી ગાઇડલાઇન મુજબ તેમને આરામ આપવા માટે હાલ બે દિવસ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આગામી દિવસમાં વધુ એક પાઇલટ તેમજ એક એટેન્ડેટ જોડાશે તેવી શક્યતા છે. ત્રણ દિવસ ઉડાન ભરેલા સી-પ્લેનમાં 80 મુસાફરોએ મુસાફરી કરી છે.
એક અહેવાલ મુજબ સી-પ્લેનના પ્રોજ્કેટ સાથે જોડાયેલા અધિકારીના જણાવ્યાં અનુસાર મંગળવારે પહેલીવાર અમદાવાદથી કેવડિયાની બંને ફલાઇટ ફુલ થઇ ગઇ હતી. જો કે પરત ફરવામાં થોડીક ખાલી હતી. જો કે આગામી દિવસોમાં દિવાળીના તહેવારને લઇને વધુ મુસાફરો આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.