પાછલા બે દાયકામાં વિશ્વભરના ઘણા દેશોમાં સુનામીએ કહેર વર્તાવ્યો. આ જ કારણે અમેરિકાના વૈજ્ઞાનિકઓએ ચીનના મકાઉ શહેરમાં રિસર્ચ હાથ ધર્યું અને તેના જે પરિણામ આવ્યા તે ચોંકાવનારા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે કુદરતી સંશાધનો સાથે બેજવાબદારી પૂર્વક કરવામાં આવેલી છેડછાડ પૃથ્વીના વિનાશને નોતરશે.
ઉલ્લેખનીય છે કે કેટલાક વર્ષોમાં દુનિયાના ઘણા દેશો સુનામીના પ્રકોપનો ભોગ બન્યા. જાપાન હોય કે પછી ભારતના જ આંદામાન નિકોબારનો વિસ્તાર વર્ષ 2004માં એશિયાના દેશો પર આવેલી આફતે લાખો લોકોને ભોગ બનાવ્યા. કરોડો ડોલરનું નુકસાન થયું. ત્યારે અમેરિકાના વર્જીનિયા ટેકના પ્રોફેસરે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
પ્રોફેસર રોબર્ટ વેસે દાવો કર્યો છે કે સમુદ્રના જળસ્તરમાં થતો વધારો ભયાનક સુનામી લાવી શકે છે. રોબર્ટ વેસની ટીમે ચીનના મકાઉમાં એક પ્રયોગ કર્યો. તેમણે જળસ્તરમાં દોઢ ફુટનો વધારો કર્યો. તો સુનામીના ખતરામાં સવાથી અઢી ગણો વધારો નોંધાયો અને જળસપાટીમાં ત્રણ ફુટનો વધારો કરતા સુનામીના ખતરામાં દોઢથી પોણા પાંચ ગણો વધારો થયો. એટલે કે સમુદ્રમાં ગ્લોબલ વોર્મીંગના કારણે વધતી સમુદ્રની જળસપાટી વિશ્વના ઘણા શહેરો માટે ખતરા રૂપ છે.
આપને જણાવી દઇએ કે નાસાએ ગયા વર્ષે એક રિપોર્ટ જાહેર કર્યો હતો અને અનુમાન લગાવ્યું હતું કે આવનારા 100 વર્ષોમાં સમુદ્રની સપાટીમાં નોંધનીય વધારો થઇ શકે છે.
નાસાના અનુમાન પ્રમાણે 100 વર્ષ બાદ મેંગલોરના સમુદ્રમાં 6.29 ઇંચ મુંબઇ પાસે 6 ઇંચ અને ન્યૂયોર્ક પાસેના સમુદ્રની સપાટીમાં 4.19 ઇંચનો વધારો થઇ શકે છે.
તો અન્ય એક રિપોર્ટ પ્રમાણે મકાઉ પાસેના સમુદ્રની જળ સપાટી વર્ષ 2060 સુધી દોઢ ફુટ વધી જશે. એટલે જે રીતે પ્રદૂષણથી પૃથ્વીના તાપમાનમાં વધારો થઇ રહ્યો છે અને તેની અસર એન્ટાર્કટિકા સહિતના વિસ્તારમાં બરફ પીગળી રહ્યો છે. જેથી સમુદ્રની જળ સપાટી પણ વધશે. એટલે જો નાની સુનામી આવે તો પણ તેની અસર દૂર સુધીના વિસ્તારમાં થવાની સંભાવના છે.