કોંગ્રેસના નેતા ઉમંગ સિંઘરે જણાવ્યું હતું કે રાજ્યસભાના સભ્ય જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમને 7 મહિના પહેલા ભાજપમાં જોડાવા બદલ 50 કરોડ રૂપિયા અને મિનિસ્ટર પદ ઓફર કર્યું હતું.
ઉમંગ સિંઘર મધ્યપ્રદેશના ધારાસભ્ય અને કેબિનેટના મંત્રી રહી ચુક્યા છે. તેઓ ધાર જિલ્લાની ગઢવાણી બેઠક ઉપરથી ત્રણ વખત જીતી ચુક્યા છે. તેઓએ બદનાવર બેઠકની ચૂંટણીની રેલીમાં આ નિવેદન આપ્યું હતું.
શરૂઆતમાં સિંધિયાનું નામ આપ્યા વિના આ દાવો કર્યો
તેમણે શરૂઆતમાં સિંધિયાનું નામ આપ્યા વિના આ દાવો કર્યો હતો. જયારે ભાજપના રાજ્ય પ્રેસિડેન્ટ વી ડી શર્માએ સિંઘરને નામ આપવાનો પડકાર આપ્યો હતો ત્યારે તેમણે સિંધિયાનું નામ આપ્યું હતું.
હું ક્યારેય તકવાદી રાજનીતિમાં માનતો નથી
શનિવારે તેમણે પત્રકારોને કહ્યું હતું કે સિંધિયાજી જયારે મને ભાજપમાં આવવા બદલ 50 કરોડ રૂપિયા અને મિનિસ્ટર પદ ઓફર કર્યા ત્યારે મેં શાંતિથી તેમના પ્રસ્તાવને નકાર્યો હતો. મેં કહ્યું હતું કે મારી અને તમારી રાજનૈતિક દ્રષ્ટિ જુદી છે. હું ક્યારેય તકવાદી રાજનીતિમાં માનતો નથી.
ભાજપ વધુ ધારાસભ્યોને ખરીદવાની રમત રમી રહ્યું છે
સિંઘરનો એવો પણ દાવો છે કે ભાજપ પેટા ચૂંટણીમાં પોતાની હાર થવાની છે તે જાણી ચૂક્યું છે તેથી તે વધુ ધારાસભ્યોને ખરીદવાની રમત રમી રહ્યું છે.
જો કે ભાજપે સિંઘરના દાવાઓને ફગાવી દીધા છે અને સામે દાવો કર્યો છે કે જો સિંઘરને 7 મહિના પહેલા આ ઓફર થઇ હતી તો તેઓએ એ સમયે શા માટે પત્રકારોને આ વાત ન કહી? તેઓ કોંગ્રેસમાં પોતાનું સ્થાન મજબૂત કરવા આ આક્ષેપ કરી રહ્યા છે.