વૈજ્ઞાનિકોએ એક કૉમ્પેક્ટ અને પોર્ટેબલ સેન્સર બનાવ્યું છે, જે ડીએનટી અને ટીએનટી જેવા ખતરનાક વિસ્ફોટકોને આસાનીથી શોધી શકે છે અને તેનો ઉપયોગ આતંકવાદને ખતમ કરવા તથા જાહેર સ્થળોએ નજર રાખવા માટે પણ કરી શકાય છે.
ડીએનટી, ટીએનટી જેવા નાઈટ્રોએરોમેટિક વિસ્ફોટક નાગરિકો અને સૈન્ય સુરક્ષા માટે સૌથી ગંભીર ખતરો પુરવાર થયા છે. આ રસાયણોને પર્યાવરણને પ્રદૂષિત કરનારા ઝેરી દૂષિત પદાર્થો તરીકે પણ ઓળખવામાં આવે છે. સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં જણાવવામાં આવ્યું છે કે, આ નવું ઉપકરણ નાનું અને વજનમાં હળવું છે. તેને ક્યાંય પણ આસાનીથી લઈ જઈ શકાય છે. આ ઉપરાંત તે પર્યાવરણને કોઈ નુકસાન પણ પહોંચાડતું નથી.
આતંકી ગતિવિધિઓમાં મોટાપાયે વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનાથી જાનમાલને મોટું નુકસાન પણ થાય છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) રૂડકીના વૈજ્ઞાનિકોની એક ટીમે એવા વિસ્ફોટકોને શોધી કાઢવા માટે નવું સેન્સર બનાવ્યું છે. આ ટીમમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (આઈઆઈએસઈઆર) કોલકાતાના બિનૉય મૈતી અને પ્રિયદર્શી ડી. પણ સામેલ હતા.
તેમણે સાથે મળીને ફ્લોરેન્સ સ્પેક્ટ્રોસ્કોપી પર આધારિત ટેક્નિકનો ઉપયોગ કરીને આ સેન્સરને બનાવ્યું છે. જ્યારે કોઈ પણ વિસ્ફોટક આ સેન્સરના સંપર્કમાં આવે છે તો તેનું પૉલીમર તુરંત રંગ બદલવા લાગે છે, જેને સહેલાઈથી જોઈ શકાય છે.
આઈઆઈટી, રૂડકીના આસિસ્ટન્ટ પ્રોફેસર સૌમિત્ર સતપથીએ જણાવ્યું કે, આ પૉલીમરથી વિસ્ફોટકોની જાણ તુરંત થઈ જાય છે. આ સેન્સર સંરક્ષણ અને ફોરેન્સિક વિભાગ માટે સહાયક સાબિત થઈ શકે છે. સૌથી મોટી વાત એ છે કે, આ સેન્સર પાણીમાં ભેળવેલા નાઈટ્રોએરોમેટિકને પણ આસાનીથી શોધી કાઢે છે.