વેસ્ટ સ્કૉટલેન્ડ વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓએ કહ્યુ કે કોરોના સંક્રમણ છે કે નહી તે મિનિટોમાં જ જાણી શકાશે.
કોરોનાના પરીક્ષણ માટે નવી ટેકનિક
મિનિટોમાં જ જાણી શકાશે કોરોનાની હાજરી
RT-PCR ટેસ્ટ કરતા પણ ઝડપી
કોરોના વાયરસ તમારા શરીરમાં છે કે નહી તે જાણવા માટે નવી ટેકનિક શોધી કાઢવામાં આવી છે. સ્કોટલેન્ડમાં વૈજ્ઞાનિકોના એક જૂથે કોરોના મહામારીને લઈને એક નવો પ્રયોગ કર્યો છે. આ અંતર્ગત હવે એક્સ-રેની મદદથી જાણી શકાશે કે દર્દીને કોરોના છે કે નહીં. આ પ્રયોગને વૈજ્ઞાનિકોએ પણ 98 ટકા સચોટ ગણાવ્યો છે.આ ટેસ્ટમાં વ્યક્તિના શરીરમાં વાયરસની હાજરીને શોધવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરવામાં આવે છે.
RT-PCR ટેસ્ટ કરતા ઝડપી
કોરોના વાયરસની હાજરી છે કે નહી તે જાણવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટની રસ પ્રદ વાત એ છે કે તમને 5થી 10 મિનિટમાં જ રિઝલ્ટ મળી જાય છે. RT-PCR ટેસ્ટ કરતા ઝડપી પરિણામ મળે છે. સંશોધકોએ કહ્યું કે લાંબા સમયથી એક ઝડપી અને ભરોસાપાત્ર સાધનની જરૂર હતી જે કોવિડ-19ને શોધી શકે. એટલું જ નહીં, ઓમિક્રોન વેરિઅન્ટ પણ એક્સ-રે દ્વારા વહેલામાં વહેલી તકે શોધી કાઢવામાં આવશે.
ટેસ્ટ કેવી રીતે કામ કરે છે?
UWS સંશોધકોના જણાવ્યા અનુસાર, નવી ટેકનિક એક્સ-રે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 3,000 થી વધુ ઈમેજોના ડેટાબેઝ સાથે સ્કેનની તુલના કરે છે, જે કોરોના દર્દીઓ, સ્વસ્થ વ્યક્તિઓ અને વાયરલ ન્યુમોનિયા સાથે સંબંધિત છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પ્રક્રિયાનો ઉપયોગ
આ ટેક્નોલોજી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પ્રક્રિયા દ્વારા સંચાલિત છે જે વિઝ્યુઅલ એસેસમેન્ટનું વિશ્લેષણ અને નિદાન કરવા માટે અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. UWS વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે વ્યાપક પરીક્ષણ તબક્કા દરમિયાન, ટેક્નોલોજી 98 ટકાથી વધુ સચોટ સાબિત થઈ છે.
શું કહે છે નિષ્ણાંતો
પ્રોફેસર રમઝાને કહ્યું કે ઘણા દેશો મર્યાદિત ડાયગ્નોસ્ટિક સાધનોને કારણે મોટી સંખ્યામાં કોવિડ ટેસ્ટ કરાવવામાં અસમર્થ છે. પરંતુ અમારા આ સંશોધન દ્વારા વાયરસને ઝડપથી શોધી શકાય છે. પ્રોફેસરે કહ્યું કે વાયરસના ગંભીર કેસોનું નિદાન કરતી વખતે આ ટેકનિક મહત્વપૂર્ણ અને સંભવિત જીવન રક્ષક સાબિત થઈ શકે છે, આ ટેસ્ટની મદદથી દર્દીને કઇ સારવાર આપવાની જરુર છે તે નક્કી કરી શકાય છે.