હિમાચલ પ્રદેશમાં સ્કૂલ-કૉલેજ, યુનિવર્સિટી સહિતની દરેક શૈક્ષણિક સંસ્થાઓને 15 એપ્રિલ સુધી બંધ રાખવાના આદેશ
ભારતમાં કોરોના વાયરસનો ભારે કહેર
હિમાચલ પ્રદેશમાં ફરીથી લોક શાળા કૉલેજ
સ્ટાફને શાળાએ રેગ્યુલર આવવાનો આદેશ
ભારતમાં કોરોના વાયરસનો ખૌફ
ભારતમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસને જોતાં જુદા જુદા રાજ્યોમાં ફરીથી પ્રતિબંધોની શરૂઆત થઈ ગઈ છે. જુદા જુદા જિલ્લાઓમાં લોકડાઉન, નાઈટ કર્ફ્યૂ અને શાળા કૉલેજને બંધ કરવામાં આવી રહી છે. ત્યારે આજે હિમાચલ પ્રદેશમાં આદેશ કરવામાં આવ્યા છે કે 15 એપ્રિલ સુધી શાળા કોલેજોને બંધ રાખવામાં આવશે. ભારતમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબૂ થઇ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 89,129 નવા કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 12,392,260 થઇ ગઇ.
હિમાચલ પ્રદેશમાં લેવાયો મોટો નિર્ણય
હિમાચલપ્રદેશમાં સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે રાજ્યની દરેક શૈક્ષણિક સંસ્થાઓને તાત્કાલિક ધોરણે બંધ રાખવામાં આવશે. જોકે ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને રેગ્યુલર આવવા માટે કહેવામાં આવ્યું છે. જોકે સરકારે આદેશમાં કહ્યું છે કે જે વિદ્યાર્થીઓને નજીકના ભવિષ્યમાં પરીક્ષા છે તે લોકો પોતાના પેરેન્ટ્સની પરવાનગી સાથે શાળાએ આવી શકે છે. આ સિવાય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરાવતા કોચિંગ સેન્ટર તથા નર્સિંગ, મેડિકલ કોલેજને ચાલુ રાખવામાં આવશે. આ સિવાય જે સંસ્થાઓમાં હોસ્ટેલની સુવિધા આપવામાં આવે તે હોસ્ટેલ બંધ કરવાની આવશ્યકતા નથી પરંતુ ગાઈડલાઇનનું કડકપણે પાલન કરવાનું રહેશે.
ભારતમાં રેકોર્ડબ્રેક કેસ
છેલ્લા 7 મહિનામાં આજે સામે આવ્યા સૌથી વધુ કોરોનાના કેસ. આંકડા અનુસાર, આનાથી વધુ 20 સપ્ટેમ્બર 2020ના એક દિવસમાં સંક્રમણના 92,605 નવા કેસ નોંધાયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવાર સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, સંક્રમણથી 714 દર્દીઓના મોત થયા છે. જેને લઇને મૃત્યુઆંક 1,64,110 પર પહોંચ્યો છે. આ પહેલા 21 ઓક્ટોબરે 24 કલાકમાં સંક્રમણથી 717 દર્દીઓના મોત થયા હતા.
શુક્રવારે કેન્દ્રીય કેબિનેટ સચિવ રાજીવ ગૉબાએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે એક સમીક્ષા બેઠક કરી હતી, જેમાં કહેવામાં આવ્યું કે, 11 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પરિસ્થિતિ ચિંતાજનક છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢમાં પરિસ્થિતિ સૌથી ખરાબ છે.
મહારાષ્ટ્રમાં કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ
મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 47 હજાર 913 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં જ 24 કલાકમાં 481 મૃત્યુ થયા છે. પુણેમાં રેકોર્ડબ્રેક 9 હજાર 126 નવા કેસ અને મુંબઈમાં રેકોર્ડબ્રેક 8 હજાર 948 નવા કેસ નોંધાયા છે. આમ મહારાષ્ટ્રમાં કુલ કેસ 29 લાખને પાર પહોંચ્યા છે. મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસ 3.89 લાખ છે.
ગુજરાતમાં શુક્રવારે સૌથી વધુ 2640 કેસ નોંધાયા હતા
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના કાળ બનીને વકરી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2640 કેસ નોંધાયા છે અને 2066 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,94,650 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 11 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4539 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.