કોરોના વધે નહીં તે માટેના તમામ પ્રયાસો થઇ રહ્યા છે અને બાળકોનું શિક્ષણ ન બગડે તે પણ જોવાઈ રહ્યું છે. ઓનલાઈન અને ઓફલાઈન બંને શિક્ષણ ચાલુ રહેશે. શાળાઓને પણ તકેદારીની સૂચના
ઓમિક્રોન-કોરોના વધવા છતાં શાળા રહેશે ચાલુ
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી શાળા મુદ્દે 'અફર'
કહ્યું, 'વાલીઓ પાસેથી પુન: સંમતિ પત્ર મંગાશે'
ગુજરાતમાં લાંબા સમય પછી એક તબક્કે કોરોના કેસ નીલ થઇ જતા રાજ્ય સરકાર દ્વારા તબકકાવાર શિક્ષણ કાર્ય ઓફલાઈન એટલે કે શાળાઓમાં ચાલુ કરવા અપાયેલી મંજુરીમાં છેલ્લે પ્રાથમિક શિક્ષણમાં પણ 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓને અપાયેલી છૂટને પગલે હવે પુન: વિચારણા કરવાની પરિસ્થિતિ આવી ગઇ છે. ખાસ કરીને ઓમિક્રોનના આગમન પછી કોરોના કેસ વધી ગયા છે અને તે જોતા સરકાર દ્વારા શાળા-કોલેજોમાં વધુ તકેદારી સાથે શિક્ષણ કાર્ય ચાલુ રાખવા સૂચના આપવામાં આવે છે અને વાલીઓને પણ તેમના બાળકને સ્કૂલે મોકલવું કે કેમ તે અંગે પસંદગગી ઉપલબ્ધ કરાઇ છે તે વચ્ચે શાળાઓમાં કોરોના ઉભો થતા ઉભી થયેલી પરિસ્થિતિ પર એક પ્રશ્નનો જવાબ આપતાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. ડીઈઓ તથા અન્ય સરકારી તંત્ર વારંવાર શાળાઓમાં ડ્રાઈવ કરીને કોરોના પ્રોટોકોલનું પાલન થાય તે જોવા પણ કાર્યરત છે.
પરંતુ હજુ પણ કોઇ વાલીઓને તેમના બાળકોની ચિંતા હોય તે સ્વાભાવિક છે અને સરકાર તેમાં કોઇ કડક વલણ અપનાવવા માગતી નથી. રાજ્યની શાળાઓમાં ઓફલાઈનની સાથે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા શાળાઓને જણાવાયું છે અને હવે બાળકોને શાળાએ મોકલવા અંગે વાલીઓ પાસેથી પુન: સંમતિ પત્ર લેવામાં આવશે.
ઓન લાઈન /ઓફ લાઈન બંને ચાલુ રહેશે
આજે રાજકોટની મુલાકાતે આવેલા વાઘાણીએ કહ્યું કે સરકાર સંપૂર્ણપણે સજાગ છે. કોરોના વધે નહીં તે માટેના તમામ પ્રયાસો થઇ રહ્યા છે અને બાળકોનું શિક્ષણ ન બગડે તે પણ જોવાઈ રહ્યું છે તે વચ્ચે ઓનલાઈન અને ઓફલાઈન બંને શિક્ષણ ચાલુ રહેશે અને શાળાઓને પણ તે સૂચના આપી દેવાઇ છે. વાઘાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં એ પણ ઉમેર્યું કે કલેક્ટર તથા ડીઈઓ દ્વારા વારંવાર ખાસ ડ્રાઈવ કરીને શાળાઓમાં કોરોના પ્રોટોકોલ અંગેની જોગવાઈનું પાલન થાય તે પણ નિશ્ર્ચિત કરવામાં આવી રહ્યું છે અને શાળા સંચાલકો સાથે પણ સરકાર પરામર્શ કરીને નવી પરિસ્થિતિથી સતત વાકેફ છે.
સુશાસન સપ્તાહ ઉજવાશે
આજે રાજકોટમાં તા. 25 થી 31 સુધીના રાજ્યભરમાં સુશાસન સપ્તાહની ઉજવણીના કાર્યક્રમો અંગે તંત્રને માર્ગદર્શન આપવા આવેલા શ્રી વાઘાણી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી રહ્યા છે અને તેઓએ જણાવ્યું કે ગ્રામ પંચાયતની ચૂંટણીના કારણે આચાર સંહિતા અમલમાં હોવાથી જે વિકાસકામો અટકાવાયા હતા તે પુન: શરુ કરવાની પણ સૂચના અપાશે.
સુરતમાં એક મહિનામાં 28 બાળકો સંક્રમિત
સુરતના વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં 28 જેટલા વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હતા જેમાં અડાજણ પાલ ખાતે ભૂલકાં વિહાર શાળામાં 3 વિદ્યાર્થી,રીવરડેલ શાળામાં 2 વિદ્યાર્થી,એલ.પી સવાણી શાળામાં 1 વિદ્યાર્થી,સંસ્કાર ભારતી શાળાના 2 વિદ્યાર્થી તથા DPS શાળામાં 2 જેટલા વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હતા. વિદ્યાર્થીઓમાં વધતી સંક્રમણની સ્થિતિને લઈને હાલ તો વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.