ઉનાળા વેકેશન બાદ ફરી ઓફલાઇન સ્કૂલો આજથી શરૂ થશે, વાલીઓ પાસેથી શાળાઓ સંમતિ પત્ર લઈ બાળકોને ભણાવશે
ગુજરાતમાં આજથી શાળાઑ શરૂ
કોરોના ગાઈડલાઇનનું પાલન કરવા સૂચન
આજ એટલે કે સોમવારથી શાળાઓમાં ઓફલાઇન વર્ગો શરૂ કરવામાં આવશે. ફરીએકવાર શાળાના પરિસરો વિદ્યાર્થીઓની કિલકારીઓથી ગૂંજી ઉઠશે.વાલીઓ પોતાના વિદ્યાર્થીઓને નવી SOPના પાલન સાથે શાળાએ મોકલશે. શાળા પ્રશાસને તેમજ શિક્ષણ વિભાગે જે બાળક બીમાર હોય તેણે સ્કૂલે ન મોકલવા વાલીઓને અપીલ કરી છે. તેમજ શાળાને કોરોના નિયમોનું પાલન થાય તે માટે સૂચન કરી દેવામાં આવ્યું છે.
ચલો સ્કૂલ ચલે હમ..
કોરોનાની સ્થિતિને કારણે સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને ફરી માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. તેમજ 9 થી 12 ધોરણની પરીક્ષાઓ યોજવામાં આવી હતી. સત્ર પૂર્ણ થયા બાદ હાલમાં કોરોના સ્થિતિ કાબૂમાં હોવાથી ફરી નવા સત્રની શરૂઆતથી જ ઓફલાઇન વર્ગો ચાલુ થઈ જશે. આપને જણાવી દઈએ કે 2 વર્ષના કોરોના કાળમાં થોડી રાહત બાદ ગત સત્રના 2 મહિના પહેલા એટલે કે ફેબ્રુઆરી માસમાં શાળાઑ ફરી ઓફલાઇન શરૂ કરવામાં આવી હતી.
કોરોના વકરતા વાલીઓમાં ચિંતા
રાજ્યમાં 9 મેથી.12 જૂન સુધી શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. હાલ તમામ શાળાઓમાં એડમીશનની પ્રક્રિયાઓ ચાલી રહી છે. થોડા સમયથી હળવો પડેલો કોરોના શાળાઓના ખુલવા સમયે જ વકરી રહ્યો છે. જેથી વાલીઓમાં પણ પોતાના બાળકોને હાલ શાળાએ મોકલવા કે ન મોકલવા તેને લઈ ખચકાટ થઈ રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 140 કેસ નોંધાયા
ગુજરાતમાં ધીરે ધીરે કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. થોડા સમય અગાઉ સાવ શાંત પડેલા કોરોના કેસોમાં એકાએક ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સતત પાંચમાં દિવસે 100 કરતા વધુ કેસ સામે આવ્યા છે. આજે કોરોનાના 140 કેસ નોંધાતા તંત્ર એક્ટિવ મોડમાં આવી ગયું છે.અમદાવાદમાં 81, વડોદરામાં 21, સુરતમાં 13 કેસ, ગાંધીનગરમાં 6 કેસ, મહેસાણામાં 4 કેસ, કચ્છમાં 3 કેસ, રાજકોટ અને સાંબરકાંઠામાં 3-3 કેસ,ભાવનગર અને ગીર સોમનાથમાં 2-2 કેસ, ગાંધીનગર, ખેડા અને પાટણમાં 1-1 કેસ કોરોના પોઝિટિવ આવ્યો છે.