હવેથી કોઈપણ શાળાના પ્રિન્સિપાલે કયો વિદ્યાર્થી કઈ સ્કૂલવાન કે રિક્ષામાં આવે છે અને તેનો ડ્રાઇવર કોણ છે. તે તમામ બાબતોની માહિતી જિલ્લા અથવા ગ્રામ્ય શિક્ષણાધિકારી અને આરટીઓને આપવાની રહેશે.
આ મુદ્દે રાજ્યના વાહનવ્યવહાર વિભાગે દરેક ડીઈઓ (DEO) અને આરટીઓ (RTO) ને એક પરિપત્ર દ્વારા આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે. જો કે આવા અનેક આદેશો હજુ કાગળ પર છે. તંત્ર કે શાળાઓ કોઈ તેને ગંભીરતાથી લેતું હોય તેવું જણાયું નથી. ગત વર્ષે રોડ સેફટી કાઉન્સિલ અંતર્ગત આ તમામ નિયમો બનાવાયા હતા, હવે અચાનક તંત્ર જાગ્યું છે. જૂના નિયમોને નવા આદેશરૂપે અમલ કરાવવા જઈ રહ્યું છે.
નવા આદેશ મુજબ હવે સ્કૂલવાન ચાલકે તંત્રની પૂર્વ મંજૂરી લેવાની રહેશે અને બાંયધરી આપવાની રહેશે કે તે ક્ષમતા કરતાં વધુ બાળકોને વાન કે રિક્ષામાં નહીં બેસાડે. બાળકોની સુરક્ષાના મુદ્દે હવે તંત્ર જાગ્યું છે. ગત વર્ષે ફેબ્રુઆરી ૨૦૧૮માં ડીઈઓ કચેરી દ્વારા સૂચના આપવામાં આવી હતી કે રાજ્યભરમાં જેટલી પણ શાળાઓ છે તેમાં જે શાળાઓમાં ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ છે.
તેમને ટુ વ્હીલર લઈને આવતા તમામ વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવી. જેમાં વિદ્યાર્થીનું નામ સરનામું સંપર્ક નંબર, ડ્રાઈવિંગ લાઇસન્સ અને વાહનની વિગત સહિતની યાદી તૈયાર કરવી. આવાં અનેક સૂચનો અત્યાર સુધીમાં ડીઈઓ કચેરી અને સરકાર તરફથી શાળાઓને મળે છે પરંતુ બંને પક્ષે તેના અમલ માટે ગંભીરતા નહીં હોઈને તમામ આદેશો કાગળ પર રહી જાય છે. નિકોલની એક શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલવાનમાંથી પડી જવાની ઘટેલી ઘટના બાદ ફરી તંત્ર જૂના આદેશો શોધી કાઢે છે અને તેનો અમલ કરાવવા દોટ મૂકે છે.
ફેબ્રુઆરી ૨૦૧૯માં એવો પણ એક આદેશ હતો કે લાઇસન્સ ન હોય તેવા વિદ્યાર્થીઓ વાહન લઈને આવતા હશે તો દંડ વાલીઓ પાસેથી વસૂલવામાં આવશે. ફેબ્રુઆરી ૨૦૧૮થી રોડ સેફટી એક્ટની અમલવારી કરવામાં આવી છે.
ગુજરાત રોડ સેફટી કાઉન્સિલ ૨૦૧૮ની જોગવાઈ મુજબ જો કોઈ વિદ્યાર્થી સેફટીના નિયમોનું પાલન ન કરે તો તેના માટે જવાબદાર શાળા સંચાલક બને છે અને જો શાળાઓ કે કોલેજો દ્વારા તેની દરકાર ન લેવામાં આવે તો રોજના રૂ. ૫૦૦ દંડની જોગવાઈ કરાઈ છે. આજ સુધી કોઈ શાળા કે કોલેજ પાસેથી રોજના રૂ. ૫૦૦ વસૂલાયા હોય તેવો કિસ્સો ધ્યાને આવ્યો નથી.